ભેંસાણ નજીક આવેલા પરબધામમાં ૨૪-૨૫ જૂને પરંપરાગત ઢબે અષાઢી બીજ મહોત્સવની ઉજવણી થશે. પરબધામના મહંત કરશનદાસબાપુ માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.
પરબની પાવન ભૂમિમાં સંત દેવીદાસ અને અમરમા એ જીવતાં સમાધિ લીધી હતી તે વેળાં નવનાથ, ચોર્યાસી સિદ્ધો, દેવીદેવતાઓએ વરદાન આપેલ કે અષાઢી બીજના દિવસે પરબધામના દર્શન કરવા અને પ્રસાદ લેવા હાજર રહીશું. સદીઓથી આ લોકવાયકા પ્રચલિત છે કે અષાઢી બીજના રોજ આ દિવ્ય આત્માઓ અચૂક પરબધામ પધારે છે, ત્યારથી અષાઢી બીજ મહોત્સવની પરંપરાગત ઉજવણી થઇ રહી છે. આ દિવસે ૧૫ થી ૨૦ લાખ શ્રદ્ધાળુઓ દર્શન અને મહાપ્રસાદનો લાભ લે છે.બે દિવસ સુધી દરરોજ રાત્રે ગુજરાતના ખ્યાતનામ કલાકારો, કીર્તિદાન ગઢવી, રામદાસ ગોંડલીયા, બીરજુ બારોટ, શૈલેષ મહારાજ, લક્ષ્મણ બારોટ સહિતના કલાકારો પોતાની સંતવાણી પીરસશે.
અષાઢી બીજના અકલ્પનીય કહી શકાય તેમ અંદાજે વીસથી પચ્ચીસ લાખ શ્રદ્ધાળુઓ દર્શન અને મહાપ્રસાદનો લ્હાવો લે છે. દેશ વિદેશથી પણ ભકતો પરબધામ પહોંચે છે. ૨૪મીએ સાંસ્કૃતિક મેળાને કરશનદાસબાપુના હસ્તે ખુલ્લો મુકાશે. ૨૫મીએ અષાઢી બીજના હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભૂખ્યાને ભોજનની આ આરાધના અને જ્યાં રોટલાનું મહત્વ છે ત્યાં શ્રદ્ધાળુઓ ભાવથી શાક, રોટલી, શીરા સહિતનો મહાપ્રસાદ આરોગે છે.અહીં વિશાળ રસોડાઓમાં સવાસો ચૂલાઓ ઉપર મહાકાય વાસણોમાં બનતી રસોઈ અને ટ્રેકટર-ટ્રોલી દ્વારા ભોજન સ્થળ ઉપર પહોંચાડાતા મહાપ્રસાદ અચંબિત કરી મુકે તેવા દ્રશ્યો સર્જે છે. આંબાવાડીમાં ભોજનકક્ષ તૈયાર કરાયુ છે, તો ચિકુડાવાડીમાં સંત નિવાસ કાર્યરત કરાયો છે. તો બીજીબાજુ જૂનાગઢ જિલ્લા તંત્ર કાયદો વ્યવસ્થાને પહોંચી વળવા સજ્જ બની રહ્યું છે.