વધુ એક વખત મહાનગરપાલિકાની ટીમે ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડી સંતોષનો ઓડકાર ખાઈ લીધો છે. દર વખતે મનપાના આરોગ્ય વિભાગની ટીમ આ રીતે દરોડા પાડે છે. કાર્બનથી પકાવેલી કેરી કબજે કરી પોતાની કામગીરી પૂર્ણ થયાનો સંતોષ માની લે છે પણ કાર્બન ક્યાંથી આવે છે, સુરતમાં કાર્બન કોણ લાવે છે કોણ કોણ આ રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે વગેરે પ્રશ્નો સંદર્ભે કોઈ કામગીરી કરી હોય તેવું ધ્યાનમાં નથી. સોમવારે આરોગ્ય વિભાગની ટીમે ફ્રૂટ માર્કેડમાં દરોડા પાડી બે ટન કેરીનો નાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
સહારા દરવાજા ખાતે આવેલી ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૨ ટન જેટલી અખાદ્ય કેરીનો નાશ કરવામાં આવ્યો હતો. અને અખાદ્ય કેરીના વિક્રેતાઓ પાસેથી કાર્બાઈડના પેકેટ જપ્ત કરી દંડ ફટકાર્યો હતો. સહારા દરવાજા ખાતે આવેલી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં કેરીના વેપારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કેરીના વેપારીઓ પર તવાઈથી ફ્રૂટ માર્કેટમાં ખળભળાટ મચી ગયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ૨ ટન જેટલી અખાદ્ય કેરીનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ૨૦૦ જેટલી કાર્બાઈડના પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા કેરીના વેપારીઓને ૪૦ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.