જુનાગઢના બિલખા નજીક હનુમાન મંદિરના મહંતની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. હત્યા કરી શખ્સો ફરાર થઇ ગયા બાદ તેમને શોધી કાઢવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. હજુ સુધી હત્યારાઓને પકડી પાડવામાં સફળતા મળી નથી. બનાવની મળતી વિગત મુજબ બિલખા-જૂનાગઢ રોડ ઉપર હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીં વર્ષોથી કૃષ્ણાનંદ ગુરૂ રામેશ્વરાનંદ વર્ષોથી સેવા કરે છે ત્યારે આજે બપોરનાં કોઇ સમયે અજાણ્યા કોઇ શખ્સોએ તિક્ષ્ણ હથિયારનાં ઘા મારી મહંતની હત્યા કરી નાસી ગયા હતા. ત્યારે આજ બપોરનાં માંડણપરા ગામનાં ભરતભાઇ ઠુંમર મંદિરે આવ્યા હતા જ્યારે મહંત અહીં ગંભીર હાલતમાં પડ્યા હોય ગામમાં આવી ગામનાં સરપંચ ભકિતરામ દામોદરદાસ નિમાવતને જાણ કરી હતી. બાદ આ બંને સરપંચ અને ભરતભાઇ મંદિરે દોડી આવ્યા હતા ત્યારે મંદિરનાં મેદાનમાં મહંત ઉંધા પડ્યા હતા અને માથાની બાજુમાં લોહીનું ખાબોચીયું ભર્યું હતું. માથાનાં ભાગે કોઇએ ગંભીર ઇજા કરી હતી. બાદ સરપંચે બિલખા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જેના પગલે બિલખા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ કેકેઓડેદરા અને સ્ટાફ માંડણપરાનાં પાટીયા નજીક આવેલા હનુમાન મંદિરે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. તેમજ મહંતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો.
પાછલી પોસ્ટ