કોંગ્રેસની જનઆક્રોશ રેલીમાં કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલીની શરૂઆતમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વજોએ આના માટે ખુબ બલિદાન આપ્યું છે. તેઓ એવા દેશનું નિર્માણ કરવા ઇચ્છુક હતા જેના મૂળમાં સત્ય, પ્રેમ અને અહિંસા દેખાય પરંતુ છેલ્લા ચાર વર્ષના ગાળામાં અમે જોઇ રહ્યા છીએ કે, આજના ભારતમાં અસત્ય, ઘૃણા અને હિંસાની બોલબાલા દેખાઈ રહી છે. સંસદીય બહુમતને માનમાની માટે લાયસન્સ તરીકે ગણી રહ્યા છે. અસહમતિને દરેક સ્તર પર કચડી નાંખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ન્યાયપાલિકા સાથે જોડાયેલા વિવાદને લઇને પરોક્ષરીતે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, આજે અમારા દેશને નિષ્પક્ષ અને મજબૂત બંધારણીય સંસ્થાઓની જરૂર છે. તેમને ૬૫ વર્ષમાં ખુબ મહેનતથી તૈયાર કરવામાં આવી છે પરંતુ મોદી સરકારે દરેક બંધારણીય સંસ્થાને નબળી કરવામાં તમામ ભૂમિકા ભજવી છે. મોદી સરકાર ઉપર પ્રહાર કરતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, ચૂંટણીને ધ્યાનમાં લઇને સમાજને વિભાજિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજકીય વિરોધીઓને સરકારી સંસ્થાઓ મારફતે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આજે જે ગંભીર સંકટથી ન્યાય વ્યવસ્થા પસાર થઇ રહી છે તે ચિંતાજનક બાબત છે. પહેલા ક્યારે પણ આવુ થયું નથી. વિદ્યાર્થીઓને સ્વતંત્રતા રીતે નિવેદન કરવાની તક મળી રહી નથી. મિડિયાને પોતાની ભૂમિકા અદા કરવાથી રોકવામાં આવે છે. આજે દેશ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે.