જનઆક્રોશ રેલીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને બીજી બાજુ પોતાના નેતાઓને પણ પરોક્ષરીતે જરૂરી સલાહ આપી દીધી હતી. નેતાઓને દરેક કાર્યકરોનું સન્માન કરવાની સલાહ આપતા રાહુલે કહ્યું હતું કે, જો કોઇ કાર્યકરને પુરતા પ્રમાણમાં સન્માન મળતું નથી તો તેઓ ખોટુ કામ કરનાર વ્યક્તિની સામે કાર્યવાહી કરશે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, પોતાના નિવેદન મારફતે તેઓ તમામને આ અંગે સલાહ આપે છે. રાહુલે આ નિવેદન કરીને સિનિયર નેતા સલમાન ખુરશીદને પણ ઇશારામાં સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. રાહુલે કહ્યું હતું કે, કેટલીક વખત અમારી પાર્ટીમાં જુદા જુદા અભિપ્રાય જોવા મળે છે. થોડાક દિવસ પહેલા જ ખુરશીદે અલગ અભિપ્રાય આપ્યો હતો. આ સ્ટેજ પરથી તેઓ આ બાબત સ્વિકારવા તૈયાર છે કે, અમારી પાર્ટીમાં જુદા જુદા વિચાર રહેશે. વિચારો દરેક નેતા રજૂ કરી શકે છે પરંતુ એક વાત કરવા માંગે છે કે, સલમાન ખુરશીદની સુરક્ષા પણ તેઓ પોતે જ કરશે. જ્યારે પાર્ટી સંઘ અને ભાજપ સાથે લડત ચલાવી રહી છે ત્યારે તમામને સાથે મળીને આગળ વધવાની જરૂરીયાત દેખાઈ રહી છે. રાહુલે પાર્ટીમાં એકતા પર ભાર મુકતા કહ્યું હતું કે, અમે ભાજપની જેમ નથી જ્યાં માત્ર એક જ વિચારધારા છે. એકની જ વાત સાંભળવામાં આવે છે. માત્ર નરેન્દ્ર મોદીની વાત જ સાંભળવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીમાં તમામની વાત સાંભળવામાં આવે છે. તમામ લોકોને પોતાની વાત કરવાનો અધિકાર છે. રાહુલે કહ્યું હતું કે, ભાજપમાં મંચપરથી મોદી અથવા અમિત શાહ આ પ્રકારની વાત કરી શકે નહીં. તેમની પાર્ટીમાં અરુણ જેટલી લાલ કૃષ્ણ અડવાણીનું પણ સન્માન થયું નથી. પાર્ટીમાં માત્ર મોદીનું સન્માન થઇ રહ્યું છે. બીજા અમિત શાહનું સન્માન થઇ રહ્યું છે પરંતુ કોંગ્રેસમાં તમામ નેતાઓનું સન્માન થઇ રહ્યું છે. આ વિચારધારા આગળ વધશે અને ભાઈચારાને ફેલાવશે.