કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીનો ઘોષણાપત્ર જારી કરી દીધો હતો. પાર્ટીએ કહ્યું છે કે, જો કોંગ્રેસની સરકાર બનશે તો આગામી પાંચ વર્ષમાં એક કરોડ લોકોને નોકરી આપવામાં આવશે. રાહુલે આ ઘોષણાપત્રને કર્ણાટકની પ્રજાના અવાજ તરીકે ગણાવીને કહ્યું હતું કે, આને ત્રણ અથવા ચાર લોકોએ રુમમાં બેસીને તૈયાર કર્યો નથી. ભાજપ ઉપર ટિપ્પણી કરતા રાહુલે કહ્યું હતું કે, ભાજપનો ઘોષણાપત્ર કર્ણાટકના લોકો માટે રહેશે નહીં. તેમાં સંઘના વિચારની ઝલક જોવા મળશે. આજે શુક્રવારના દિવસે કોંગ્રેસે ઘોષણાપત્ર જારી કર્યો હતો. રાહુલે ટિ્વટ કરીને કહ્યું હતું કે, આ ઘોષણાપત્ર કર્ણાટકના લોકોની મનની વાત કરે છે. એમાં એવા વચનો છે જેને અમે પુરા કરવાની ઇચ્છા ધરાવીએ છીએ. આમા આગામી પાંચ વર્ષમાં એક કરોડ નવી નોકરીની તકોની વાત કરાઈ છે. ઘોષણાપત્ર જારી કરતા પહેલા કોંગ્રેસના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમા ંમુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો સમાવેશ થાય છે. રાહુલે દાવા સાથે કહ્યું હતું કે, સિદ્ધારમૈયા સરકારે ૯૫ ટકા વચનો પૂર્ણ કર્યા છે. કર્ણાટકમાં ૨૨૪ સીટ માટે ૧૨મી મેના દિવસે મતદાન થશે. ૧૫મી મેના દિવસે મતગણતરી થશે. બીજી બાજુ ચીન યાત્રા પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જિંગપિંગ વચ્ચે વાતચીત બાદ રાહુલે ટિ્વટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાહુલે કહ્યું હતું કે, ડોકલામ વિવાદ, ચીન પાકિસ્તન ઇકોનોમિક કોરિડોર પોક મારફતે પસાર થયા છે તે મુદ્દે વાતચીત જરૂરી છે. મોદી આ બંને મુદ્દા વિસ્તારપૂર્વક રજૂ કરે તેવી અમારી ઇચ્છા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીન સાથે વાતચીત દરમિયાન ડોકલામનો મુદ્દો પણ ઉઠાવવો જોઇએ. ગાંધીએ નરેન્દ્ર મોદીની મઝાક કરતા કહ્યું છે કે, મોદી યાત્રાને લઇને ટેન્શનમાં દેખાઈ રહ્યા છે. અલબત્ત તેમની પાર્ટીનો ટેકો આપતા રાહુલે કહ્યું હતુે કે, ભારત ડોકલામ અને અન્ય મુદ્દા ઉપર તેમના તરફથી વાતચીત થાય તેમ ઇચ્છે છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગયા વર્ષે ૭૨ દિવસ સુધી મડાગાંઠની સ્થિતિ ડોકલામમાં રહી હતી. રાહુલ ગાંધીએ ઘોષણાપત્ર જારી કરતી વેળા વચનોની યાદ અપાવી હતી. મોદીના વચનોને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, મોદીએ દરેક ભારતીયોના ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરવાની વાત કરી હતી પરંતુ કોઇના ખાતામાં કોઇ પૈસા આવ્યા નથી.
આગળની પોસ્ટ