Aapnu Gujarat
બ્લોગ

નારાયણ સાંઈ : બાપ બાદ દીકરાનો વારો

સગીર સાથે બળાત્કારના કેસમાં આસારામને જોધપુર કોર્ટે દોષી કરાર કર્યા બાદ હવે તેના દીકરા નારાયણ સાંઇ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતની બે બહેનો પર બળાત્કારના અને લાંચકાંડના કેસમાં આજે સુરતની કોર્ટમાં નારાયણ સાંઇને હાજર કરાયો હતો. નારાયણને મીડિયાથી દૂર પોલીસ જાપ્તા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આસારામને ફટકારવામાં આવેલી સજા અંગે નારાયણે મીડિયા સમક્ષ કાંઈ પણ બોલવા પર મૌન ધારણ કર્યું હતુ. નારાયણ સાંઇ હાલ ગુજરાતના સૂરતની લાજપોર જેલમાં ૪ વર્ષથી કેદ છે. બંને બહેનો દ્વારા નોંધાવવામાં આવેલો આ કેસ ૧૦ વર્ષ જુનો છે. તેમાં મોટી બહેને આસારામ પર, જ્યારે નાની બહેને નારાયણ સાંઇ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.નારાયણ સાંઇએ ધરપકડથી બચવા શામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કર્યો હતો. ત્યાં સુધી કે પોલીસ અધિકારીઓને ૧૩ કરોડ રૂપિયાની લાંચ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ કેસની તપાસ સાથે સંકળાયેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, જ્યુડીશ્યરી, જેલ તથા નવી સિવિલ હોસ્પિટલના તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓને તપાસના કાગળો ઢીલા કરવા નારાયણ સાંઇના ઇશારે કુલ ૧૨ જેટલા આરોપીઓએ રૂ. ૧૩ કરોડની લાંચ આપવાનો કારસો રચ્યો હતો. નારાયણ સાંઇ પોલીસ રિમાન્ડ હેઠળ હતો તેમ છતાં સુરત ક્રાઇમ બ્રાંચના તત્કાલિન પોસઇ ચંદુ મોહન કુંભાણીએ આરોપી સાધક ઉદય નવીનચંદ્ર સાંગાણીને આરોપી નારાયણ સાંઇની ગેરકાયદે મુલાકાત કરાવી હતી.નારાયણે સિંધી ભાષામાં ચિઠ્ઠી લખીને અમદાવાદ તથા સુરતના જહાંગીરપુરા આશ્રમના સંચાલન વહીવટ સાથે સંકળાયેલા આરોપી બિલ્ડર કેતન પટેલ, હસમુખ ઉર્ફે હસુદાદા ઉપાધ્યાય, ભાવેશ ચતુર પટેલ, હિતેન્દ્રસિંહ વાઘેલા, નરેશ માનકાની, ભદ્રેશ પટેલ, કાંતિ દેવશી પટેલ તથા કૌશિક વાણી વગેરેને રૂ।. ૧૩ કરોડની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જોકે, પોસઇ ચંદુ કુંભાણી અને સાધક ઉદય સાંગાણી વચ્ચેની ટેલિફોનિક વાતચીતને ઇન્ટરસેપ્ટના આધારે સુરત પોલીસે મેળવી ૧૨ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ રિવર્સ ટ્રેપ ગોઠવી ચંદુ કુંભાણી, સાધક ઉદય સાંગાણી તથા વેગનઆર કારના ડ્રાઇવર ધીરજ પટેલ ગાંધીચોક પાસેથી રૂ. ૧ કરોડની રોકડ અને કિંમતી દસ્તાવેજોના પોટલા સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ બિલ્ડર કેતન પટેલ સહિત અન્ય આરોપીઓ પાસેથી લાંચ માટે આપવા ભેગા કરેલા રૂ. ૮ કરોડ રોકડા જપ્ત કરાયા હતા.આ કેસમાં કુલ ૧૩ આરોપી સામે તહોમતનામું પણ કરાયું છે. નારાયણ સાંઇ કેસની તપાસ ચલાવી રહેલા તત્કાલીન એસીપી શોભા ભૂતડાએ સમગ્ર મામલાનો ભાંડો ફોડ્યો હતો. બળાત્કાર બાદ પોલીસને લાંચ આપવાના મામલે નારાયણ સાંઇ પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.નારાયણ સાંઈ અને આસારામ વિરુદ્ધ સુરતની બે બહેનો દ્વારા દાખલ આ કેસ ૧૦ વર્ષ જૂનો છે. પોલીસે પીડિત બહેનોના નિવેદન અને લોકેશનથી મળેલા પૂરાવાના આધાર પર આ કેસ દાખલ કર્યો હતો. નાની બહેને પોતાના નિવેદનમાં નારાયણ સાંઈ વિરુદ્ધ મજબૂત પૂરાવા આપતા દરેક સ્થળની ઓળખ કરી છે.આ મામલે જ્યારે નારાયણ સાંઈ વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થઈ તો તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. તે પોલીસથી બચવા સતત પોતાના ઠેકાણા બદલતો હતો. તત્કાલિન સુરત પોલીસ કમિશનર રાકેસ અસ્થાનાએ નારાયણ સાંઈની ધરપકડ કરવા માટે ૫૮ અલગ-અલગ ટીમો બનાવી હતી.એફઆરઆઈ દાખલ થયાના આશરે બે મહિના બાદ નારાયણ સાંઈની હરિયાણા-દિલ્હીની સરહદ પાસેથી ધરપકડ થઈ હતી. ધરપકડ સમયે નારાયણ સાંઈએ શીખ વ્યક્તિનો વેશ ધારણ કર્યો હતો. પોતાને કૃષ્ણનું રૂપ બતાવનાર નારાયણ સાંઈની ધરપકડ બાદ તેના કૃષ્ણની જેમ મહિલાઓ વચ્ચે બાંસુરી વગાડતો વીડિયો પણ સામે આવ્યો હતો. સુરત પોલીસે તેનાં પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેને યૌનશોષણની ગંભીર આદત જ હતી. તે એક રાતમાં ૯ મહિલાઓ સાથે સેક્સનો આનંદ માણતો હતો. તેમજ મહિલાઓનાં પતિને નપુંસક બનાવવાં તેમને કેટલીક આયુર્વેદિક દવાઓ પણ ખવડાવતો હતો.મહિલાઓને ફસાવવાં માટે તેનાં સેવકોની આખી ટિમ કાર્ય કરતી હતી. તેઓ મહિલાઓને ભોળવી ફસાવી નારાયણ સાંઈ સાથે સંબંધ બાંધવા તૈયાર કરતાં હતાં. આ માટે ગંગા, જમુના,હનુમાન, ઢેલ, બગલો જેવાં હુનમાનધારી સેવકો કામ કરતાં હતાં.ઉલ્લેખનીય છે કે, નારાયણ સાંઈનાં સેવક ગંગા, જમના અને ઢેલ હાલમાં સુરત પોલીસનાં સંકજામાં છે અને પોલીસ તેમની પાસેથી નારાયણ સાંઈ વીશેની માહિતી એકઠી કરી રહી છે. તેમજ તેનાં પાપકર્મોની કુંડળી પણ તૈયાર કરી રહી છે.નારાયણ સાંઈ કોઈપણ મહિલાને ફસાવવાં કોડવર્ડનો ઉપયોગ કરતો. જે તે મહિલા સુધી પ્રસાદ કે ફુલ પહોંચાડવામાં આવતું જેથી તેનાં સાધકોને ખબર પડે કે નારાયણને કંઈ મહિલામાં રસ છે. ત્યાર બાદ તેનાં સાધકો જે તે મહિલાનું બ્રેન વોશ કરી તેને નારાયણ સાંઈ ભગવાનના રૂપ છે તેવી વાતોમાં ફોસલાવી તૈયાર કરવામાં આવે છે. જો કોઈ મહિલા તૈયાર થઈ જાય તો તેનાં માટે પણ કોડ વર્ડ વાપરવામાં આવતો હતો. સંમત થનારી મહિલા માટે સેવકો ’ભોગ તૈયાર હૈ’ એવો મેસેજ નારાયણ સાંઈ સુધી પહોંચાડતા હતાં.
દરરોજ દેશમાં એવી ઘટનાઓ બને છે જે વાંચીને રુવાડાં ખડાં થઈ જાય છે. દેશમાં ચારેબાજુ બળાત્કારની ઘટનાઓ દરરોજ બને છે. દીલ્હીથી માંડીને રાજકોટ સુધી આવી ઘટનાઓ બન્યા જ કરે છે. એમાં પણ ચાર-પાંચ વરસની કુમળીવયની બાળકીઓ આનો ભોગ બને છે અને પછી પીડીતાની હત્યા કરી નાંખે છે.આ બધું કહેવાતા ધાર્મીક અને આધ્યાત્મીક દેશમાં બને છે. સમાજસુરક્ષાની વાત આમાં ક્યાં આવે છે ? અંગ્રેજો હતા ત્યારે આવી બાબતોમાં કાયદો કે ખરડો ઘડાવાની રાહ જોતા નહોતા. પીંઢારાઓને એમણે બહુ ઝડપથી ખતમ કરી નાંખ્યા. અત્યારે દેશ આઝાદ છે. ૬૫થી વધુ વરસ થઈ ગયાં. નીયત સમયે ચુંટણીઓ યોજાય છે. દરરોજ નવા કાયદાઓ પસાર થાય છે; પણ છતાં દેશ અને સમાજ બગડતાં જ જાય છે.હવે તો આપણે એ કક્ષાએ પહોંચ્યા છીએ કે બળાત્કારીઓને સાધુ કે બાપુ તરીકે બોલાવવા પડે છે. આસારામ (બાપુ ?) એનો જીવતો જાગતો દાખલો છે. એમના પુત્ર નારાયણ સાંઈ ઉપર બે બાળકોની હત્યાનો આરોપ લાગેલો; પણ ગુજરાત સરકારે કાર્યવાહી કરવાને બદલે એક પંચની રચના કરી લીધી. નારાયણ સાંઈ વરસો સુધી એ પંચ સમક્ષ હાજર ન થયા. આખરે હાજર થયા અને પંચે રીપોર્ટ આપી દીધો; પણ એ રીપોર્ટ હજી જાહેર થયો નથી. બીજા અનેક અહેવાલોની જેમ આ અહેવાલ પણ સરકારી ફાઈલોમાં દટાઈ ગયો છે. દરમ્યાન જોધપુરમાં એમની વીરુદ્ધ બળાત્કારની એક ફરીયાદ નોંધાઈ.
રાજસ્થાન સરકાર હોવાથી ચાર દીવસ પછી એમની ધરપકડ થઈ હવે જેલની હવા ખાધા પછી એમની વીરુદ્ધ નીતનવા કૌભાંડો બહાર આવવા માંડ્યા છે. અત્યાર સુધી એમના કહેવાતા સાધકો લોકોને ભયભીત કરીને ફરીયાદ નોંધાવતા રોકતા હતા. હવે એ બીક ચાલી ગઈ છે. સુરતમાં એમના પુત્ર નારાયણ સાંઈ સામે ફરીયાદ નોંધાતાં નારાયણ સાંઈ ભાગી ગયા છે અને આ ઘટના અમદાવાદમાં બની હોવાથી આસારામને અમદાવાદ લાવવામાં આવ્યા છે.આસારામના દેશભરમાં ચારસોથી વધુ આશ્રમો આવેલા છે. આમ, એમની કપટલીલા દેશભરમાં વીસ્તરી ચુકી છે. એક રીતે જોઈએ તો આમાં એમનો વાંક ઓછો અને આપણી શ્રદ્ધાળુ પ્રજાનો વાંક વધુ છે. જોધપુરના સાધકની દીકરીએ હીમ્મતથી ફરીયાદ નોંધાવી; છતાં એ સાધકને એમના અનુયાયીઓ દ્વારા સતત ધમકીઓ મળવાનું ચાલુ જ હતું. એટલી હદ સુધી કે કોર્ટના કમ્પાઉન્ડમાં પણ સાધકને એમના માણસો દ્વારા ધમકી અપાતી. આ બતાવે છે કે આવા ધાર્મીક માફીયાઓ કઈ હદ સુધી જવા તૈયાર છે. ઉપરથી રામ જેઠમલાણી જેવા જાણીતા ધારાશાસ્ત્રીએ એમનો કેસ લીધો. આવા જાણીતા ગુનેગારોનો કેસ કોઈ પણ વકીલે લેવો જ ન જોઈએ. એમાં પણ જેઠમલાણી જેવા જાણીતા ધારાશાસ્ત્રીથી તો લેવાય જ નહીં; પણ જેઠમલાણી આવા મામલે આચારસંહીતા પાળતા જ નથી. શ્રીમતી ગાંધીના હત્યારાનો કેસ પણ તેઓ લડ્યા હતા. સંસદ ઉપર હુમલો કરાવનાર અફઝલ ગુરુનો કેસ પણ તેઓ લડ્યા અને એમની ફાંસી ન આપવી જોઈએ એવું જાહેરમાં કહ્યું. આ કેસમાં એમણે વીવાદાસ્પદ દલીલ કરી કે, ‘એ છોકરી પુરુષને લલચાવવા માટે જાણીતી છે.’ આ દલીલથી તેઓ શું સાબીત કરવા માંગે છે એ કોઈને સમજાયું નહીં.હાલ દેશમાં આવા ઢોંગી બાવાઓની જમાત ફુટી નીકળી છે. આવા એક બાબા દીલ્હીના નીર્મલ બાબા છે. ટીવી ઉપર એમના કાર્યક્રમો દરરોજ આવે છે. આ બાબાનો ભુતકાળ અત્યંત ખરાબ છે. દીલ્હીના એક ખુણામાં તેઓ ભંગાર વેચતા હતા. આવા અનેક ધંધાઓ બદલતાં બદલતાં એમને આ ધંધો હાથ લાગ્યો અને એમાં જોરદાર સફળ થયા. હકીકત એવી છે કે એમના દરબારમાં આવતા મોટાભાગના લોકો ભાડુતી છે. એમની પાસે અગાઉથી જ બે હજાર રુપીયા પડાવી લેવાય છે. તેઓ જે જવાબો આપે છે એ અત્યન્ત રમુજી હોય છે; છતાં એમની ભક્તી ચાલે છે. આ બાબાની સામે દેશભરમાંથી એકસોથી વધુ કેસ નોંધાયા છે. છતાં પોલીસ એમની ધરપકડ કરતી નથી. આમાં ક્યું રહસ્ય છે એ જાણવા માટે કલ્પના કરવાની જરુર નથી. આ બધો પૈસાનો ખેલ છે. દક્ષીણમાં એક બાબા છે જેમનું નામ નીત્યાનન્દ બાબા છે. એમની સેક્સલીલાઓ અખબારો અને ટીવી ઉપર ચમકી ગઈ છે. દક્ષીણની એક અભીનેત્રી પણ એમની મોહજાળમાં ફસાઈ ચુકી છે. એમની ધરપકડ થઈ ચુકી છે અને અત્યારે જામીન ઉપર છુટ્યા છે. પણ આવા બાબાઓની કપટલીલા ચાલતી જ રહે છે. આસારામના સાધકો એમ કહેતા કે આસારામ (બાપુ ?) યુવતીઓ સાથે કંઈ પણ કરે છે તે કૃષ્ણ ભગવાનની લીલા છે અને બાપુ તો કૃષ્ણ ભગવાનનો અવતાર છે.
ભુતકાળમાં ભાદરણના એક સ્વામી થઈ ગયા, જેમનું નામ કૃષ્ણાનંદ હતું. તેમણે ‘સેન્ડલ એન્ડ પેબલ્સ’ નામના પુસ્તકમાં અનેક વાતો લખી છે અને કહ્યું છે કે : ‘દુનીયામાં ચમત્કાર જેવું કશું જ છે જ નહીં.’ તેઓ એક વખત પદયાત્રા કરતાં કરતાં એક ખેતરમાં આવી પહોંચ્યા. ખેડુતે એમનો સત્કાર કર્યો. સ્વામી ત્યાંથી ગયા એ પછી ખેડુતે ખેતરમાં નક્કી કર્યું હતું એમ ખોદકામ કર્યું. કુદરતી રીતે ત્યાંથી પાણી નીકળ્યું અને લોકવાયકા ફેલાઈ ગઈ કે સ્વામીજી જ્યાં જાય છે અને બેસે છે ત્યાં પાણી નીકળે છે. એમને સંખ્યાબંધ આમંત્રણો મળવા માંડ્યાં; પણ એ આમંત્રણો સ્વીકારવા છતાં બધે પાણી નીકળ્યું હોય એમ ન બન્યું. સ્વામીજીએ સમજાવ્યું કે મને એવો ચમત્કાર આવડતો હોત તો હું દેશભરના બધા ખેતરોની મુલાકાત ન લઉં ? અને ચમત્કારથી વરસાદ ન વરસાવું ? આવો જ બીજો બનાવ બન્યો. એક ગામમાં તેઓ ગયા. ગામના મામલતદારે એમને ઘરે જમવા બોલાવ્યા. એ દીવસ સોમવાર હતો. સ્વામીજી ત્યાં ગયા. બીજા દીવસે મંગળવારે ગામના એક શેઠને ત્યાં ગયા. કુદરતી રીતે થોડા દીવસ પછી પેલા શેઠ અને મામલતદાર એક સમારંભમાં ભેગા થઈ ગયા. બન્નેએ વટથી કહ્યું કે સ્વામીજી મારે ઘરે જમી ગયા છે. બન્નેએ સોમવારે જમી ગયા એવો દાવો કર્યો. અન્તે બન્નેએ નક્કી કર્યું કે સ્વામીજીનાં અનેક રુપ છે. પરીણામે તેઓ એક જ દીવસે અનેક રુપે અનેક સ્થળે પ્રગટ થઈ શકે છે.
સ્વામીજીએ પુસ્તકમાં લખ્યું છે કે આ શક્ય જ નથી; પણ આપણી શ્રદ્ધાળુ પ્રજા આવા ગપાટા ફેલાવતી રહે છે.આવી પ્રજામાંથી અન્ધવીશ્વાસ ધરાવતાં ભક્તોને વીણી વીણીને આસારામ અને નીર્મલ બાબા જેવા લોકો છેતરતા જ રહે છે અને આવા બાબાઓની દુકાન ચાલતી રહે છે. આસારામના કીસ્સામાં સહુથી આઘાતજનક વાત એ છે કે એમણે હજારો યુવતીઓનું શીયળ લુંટ્યું છે અને ધાકધમકીને કારણે બધાનાં મોઢાં ઉપર તાળાં મારી દીધાં છે. હવે પોતે જેલમાં ગયા છે, એટલે એ ભયનું સામ્રાજ્ય ઓસરી ગયું છે. પરીણામે ભુતકાળની ફરીયાદો હવે થવા લાગી છે. લોકોની અન્ધશ્રદ્ધાનો આવા કહેવાતા બાપુઓ ભરપુર ગેરલાભ લે છે. પોતાની તીજોરી ભરે છે અને વાસના સંતોષે છે. આમ આ દુષ્ચક્ર ચાલતું જ રહે છે.આવા કહેવાતા બાબાઓ એક તરફ વેદો અને પુરાણો વીશે કથાઓ કરે છે અને બીજી બાજુ મંત્રતંત્ર અને ચમત્કારોના નામે છોકરીઓને ફસાવે છે. છોકરીઓ ફસાય એ તો બરોબર; પણ એમનાં માબાપો પણ આ લોકોની જાળમાં આવી જાય છે ! ઉપરથી સત્તાવાળાઓ એમની ઉપર પગલાં લેવાને બદલે એમને બચાવતા ફરે છે. હવે રાજસ્થાનના જોધપુરમાં ફરીયાદ થઈ, એટલે મોડેમોડે પગલાં લેવાયાં; પણ સુરતની ફરીયાદના આધારે એમને વીમાન માર્ગે અમદાવાદ લવાયા અને એમની શાહી સરભરા થઈ. પાંચસો પોલીસો એમની તહેનાતમાં ઉભા રહી ગયા. ગુજરાત પોલીસ રાજસ્થાન જેવી કડક અને તટસ્થ રહી શકશે કે કેમ એ અંગે શંકા છે. એમના એક ભક્ત શીવાએ પોલીસ સમક્ષ બધું જ રહસ્ય ખોલી નાંખ્યું અને કહ્યું કે રોજ રાત્રે આઠ વાગ્યા પછી આશ્રમની પાછળ ખાસ બનાવેલા ઓરડામાં છોકરીઓને બોલાવાતી.આસારામ પાસે અઢળક મીલકત છે. કેન્દ્રના બજેટ કરતાં વધુ પૈસો છે. આનાથી બધાને ખરીદી લેવાનો એ પ્રયત્ન કરશે.આસારામ આધુનીક સાધુ છે. રાજા મહારાજા કરતાં વધુ વૈભવમાં રહે છે. મન્ત્રતન્ત્રમાં લોકોને ફસાવે છે. ચીન્તાની વાત એ છે કે એમના હજારો સાધકો હજી એમની આસપાસ વીંટળાયેલા રહે છે. પત્રકારો પર એ લોકો હુમલા કરે છે અને કેમેરા ઝુંટવી લે છે. જોધપુરથી વીમાન માર્ગે આસારામ અમદાવાદ આવ્યા ત્યારે એ વીમાનમાં સેંકડો સાધકો ઘુસી ગયા હતા. આ સાધકો લોકોને ધાકધમકી આપે છે. એમના મોટાભાગના આશ્રમો સરકારી જમીન ઉપર ગેરકાયદે ચણાયેલા છે. આ આશ્રમોના હીસાબો ઓડીટ થતા નથી અને એને મળતા પૈસાની પહોંચ પણ અપાતી નથી. આશ્રમનો વહીવટ પારદર્શક હોવો જોઈએ; પણ એ નથી.સરકારે અને સ્વૈચ્છીક સંસ્થાઓએ સવેળા જાગીને આ ગંભીર પ્રશ્ને જાગૃત થઈને આગળ આવવું જોઈએ. દેશભરમાં આ વીષચક્ર ફેલાયેલું છે. દીલ્હીથી માંડીને રાજસ્થાન અને તામીલનાડુ સુધી આ દુષણ ફેલાઈ ગયું છે. આ દુષણ સવેળા રોકીશું નહીં, તો આપણે ૨૧મી સદીમાં જવાને બદલે ફરી પાછા ૧૪મી સદીમાં પહોંચી જઈશું. એ સદી આખી દુનીયા માટે અન્ધકારની સદી હતી. સદીઓ પહેલાં ગુજરાતમાં ‘મા’રાજો’ની કપટલીલા સામે નર્મદ અને દુર્ગારામ જેવા સુધારકોએ મોરચો માંડ્યો હતો અને ‘મહારાજ લાઈબલ કેસ’ જીતીને સનસનાટી ફેલાવી હતી. ત્યારે નર્મદ અને કરસનદાસ મુળજીને જાતજાતની ધમકીઓ મળતી પણ એનાથી ડર્યા વીના એમણે સમાજસુધારાનો યજ્ઞ ચાલુ જ રાખ્યો હતો. હવે જો આપણે ઈચ્છતા હોઈએ કે ફરીથી ૧૪મી સદીમાં નથી જવું તો સમાજસુધારાની મશાલ ફરીથી જલાવવી પડશે.

Related posts

બોફોર્સનાં ડાઘ રાફેલથી ધોશે કોંગ્રેસ

aapnugujarat

લોકસભા ચૂંટણી : આ પાંચ રાજ્યો નક્કી કરશે લોકસભા ચૂંટણીનું પરિણામ

aapnugujarat

જજ લોયાનો કેસ વિવાદાસ્પદ બન્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1