નરોડા પાટિયા કેસમાં ડો.માયાબહેન કોડનાનીને નિર્દોષ ઠરાવતાં ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે બહુ જ મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, આ કેસમાં ડો.માયાબહેન કોડનાની વિરૂધ્ધ જે સાક્ષીઓએ જુબાની કે પુરાવો આપ્યો હતો, તે એકબીજા સાથે સુસંગત નથી અને વિરોધાભાસી છે. તેથી તે માની શકાય તેમ નથી. આ જ કારણથી શંકાનો લાભ આપી ડો.માયાબહેન કોડનાનીને આઇપીસીની કલમ-૧૨૦(બી)- ગુનાહિત કાવતરાના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવે છે. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, ડો.કોડનાની વિરૂધ્ધ ૧૧ સાહેદોએ જુબાની આપી હતી અને તે પણ છેક ૨૦૦૮માં જયારે સુપ્રીમકોર્ટ દ્વારા રચાયેલી સીટની તપાસ હાથ ધરાઇ ત્યારે સૌપ્રથમવાર ડો.માયાબહેનનું નામ સામે આવ્યું હતું. આ પહેલાં ૨૦૦૨,૨૦૦૩ અને ૨૦૦૪ની ગુજરાત પોલીસ અને એજન્સીઓની તપાસમાં ડો.માયાબહેન કોડનાનીનું નામ કયારેય સામે આવ્યું જ ન હતું. સૌથી મહત્વનું તો એ છે કે, બનાવ વખતે હાજર પોલીસ સાહેદોના એક પણ નિવેદનમાં ડો.માયાબહેન કોડનાનીની હાજરી પ્રસ્થાપિત થતી નથી. ઉલ્લેખનીય છે કે, નરોડા પાટિયા કેસમાં કુલ ૭૦૦ જેટલા પોલીસ વીટનેસ હતા, જે પૈકી ૩૨૭ પોલીસ વીટનેસને ટ્રાયલ કોર્ટમાં તપાસવામાં આવ્યા હતા. જેમાં એક પણ પોલીસ વીટનેસના નિવેદનમાં બનાવના દિવસે ઘટનાસ્થળે ડો.માયાબહેન હાજર હતા તેવું કયાંય પ્રસ્થાપિત થયું ન હતું. આ બાબતને હાઇકોર્ટે બહુ જ ગંભીરતાથી લીધી હતી અને સાહેદોના વિરોધાભાસી અને વિસંગત નિવેદનો-જુબાની તેમ જ પોલીસ સાહેદોના નિવેદનમાં ડો.માયાબહેનની હાજરી પ્રસ્થાપિત નહી થતી હોવા સહિતના ગ્રાઉન્ડના આધારે ડો.માયાબહેન કોડનાનીને ટ્રાયલ કોર્ટે ફટકારેલી ૨૮ વર્ષની જેલની સજા રદબાતલ ઠરાવી હતી અને તેઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.