ડો.બાબા સાહેબની ૧૨૭મી જન્મ જયંતિ ૧૪ એપ્રિલ નિમિત્તે આજે વેરાવળના ટાવર ચોકમાં અને નવાપરા ગામે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર દ્રારા બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામા તા. ૫ મે સુઘી સમગ્ર દેશની સાથે ઉજવણી કરવામાં આવનાર ગ્રામ સ્વરાજ અભિયાનનો મંત્રીશ્રી દિલીપ ઠાકોરે નવાપરા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, ગુજરાત રાજ્ય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા, પુર્વમંત્રીશ્રી જશાભાઈ બારડ, પ્રવાસન નિગમના ડિરેકટરશ્રી ઝવેરીભાઈ ઠકરાર, નગરપાલીકા પ્રમુખશ્રી જગદીશભાઈ ફોફંડી, કેશોદનાં પૂર્વ ધારાસભ્યશ્રી વંદનાબેન મકવાણા, શ્રી પ્રવીણભાઇ આમહેડા, ગીરીશભાઇ ભજગોતર, ભીમભાઇ આમહેડા, બચુભાઇ રાઠોડ સહિતનાં આગેવાનો દ્રારા પણ ટાવરચોકમાં ડો.બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. નવાપરા પ્રા.શાળા ખાતે આયોજીત ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમમાં મંત્રીશ્રી દિલીપભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે ડો.બાબા સાહેબની જન્મ જયંતીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. સામાજીક સમરસતા માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કરનાર ડો.બાબા સાહેબ આપણા સૌ માટે આદર્શ છે. આથી જ ગ્રામ સ્વરાજ અભિયાનનો સમગ્ર દેશમાં આજથી પ્રારંભ કરાયો છે અને ગીર સોમનાથ જિલ્લાના આઠ ગામમાં પણ આ કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે મકવાણા ગોવિંદભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા હપ્તાનો રૂા. ૫૦ હજારનો અને ચાંદપા કાજલબેનને કુવરબાઈ મામેરૂ યોજનાનો ચેક અર્પણ કરાયો હતો. આ ઉપરાંત અન્ય લાભાર્થીઓને જાતિ પ્રમાણપત્ર અને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય મોદી, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીશ્રી દાફડા, અગ્રણી પ્રવિણભાઈ રૂપારેલીયા, સરમણભાઈ સોલંકી તથા સરપંચશ્રી અશોકસિંહ પરમાર અને બહોળીસંખ્યામાંગામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ