વર્ષેને વર્ષે શ્રધ્ધા વધતી જતી હોય તેમ દરેક મંદિરોમાં ભાવિકો દ્વારા ચડાવવામાં આવેલા દાન-દક્ષિણામાં પણ વધારો થતો જાય છે… વાત દેશના પશ્ચિમ કિનારે આવેલા અને ચાર ધામ પૈકીના એક એવા દ્વારાકાધીશના જગત મંદિરની છે. અહીં વર્ષ દરમિયાન સેંકડો ભાવિકો શીશ ઝુકાવી ધન્યતા મેળવે છે, આ જ ભક્તો દ્વારા જગતમંદિરે છેલા વર્ષના ગાળામાં રોકડ, ઘરેણા અને વાહન સહિતની ચીજ વસ્તુઓ દાનમાં આપી છે. છેલ્લા વરસમાં દ્વારકાધીશ મંદિરમાં કરોડો રૂપિયાની આવક થવા પામી છે.વાત શ્રધ્ધાની આવે ત્યાં તમામ પુરાવા ગૌણ બની જાય છે… એ શ્રધ્ધા ભગવાન તરફે હોય કે હોય માનસ તરફે, અહીં ભગવાન તરફની શ્રધ્ધાની વાત છે. ભારતભરના અનેક એવા મંદિરો છે જ્યાં એક દીવસમાં શ્ર્ધાળુઓ ભગવાનના ચરણોમાં પોતાની મહામુલી સંપતિ અર્પણ કરતા આવ્યાના દાખલા છે, એ શિરડી મંદિર હોય કે હોય તિરૂપતીનું મંદિર, ભક્તોની શ્રધ્ધામાં ઉતરોતર વધારો થતો જાય છે. દેશના અરબ સાગરના કિનારે આવેલ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ મંદિરે છેલ્લા વર્ષ દરમિયાન ૧૨,૯૪,૨૧,૪૫૯ રૂપિયાની રોકડ આવક થઇ છે, જયારે ૬૯૧ ગ્રામ સોનું અને ૪૯ કિલો ૯૮૨ ગ્રામ ચાંદી દાન રૂપે મંદિરમાં ધરવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વરસે રોકડ રકમમાં ત્રણ કરોડનો વધારો થયો છે.ભગવાન દ્વારકાધીશને ચડાવવામાં આવેલ દાન-દક્ષિણાની વહેચણીમાં પણ ભાગ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં વર્ષ દરમિયાન જે કઈ દાન મળે તેમાંથી મંદિરની સેવા પૂજા કરતા પુજારી પરિવારોને ૮૩ ટકા રકમ, જ્યારે ૧૫ ટકા રકમ દેવસ્થાન સમિતિને આપવામાં આવે છે, બાકીની રકમ ચેરીટી કમિશ્નર કચેરીમાં જમા કરાવવામાં આવે છે.