જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન (જેઈઈ મેઇન) માટેની આજે પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં ૧૨ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. પરીક્ષાને લઇને ખુબ જ ઉત્સુકતા દેખાઈ રહી હતી. અગ્રણી એન્જિનિયરિંગ અને આર્કીટ્રેક્ચર કોલેજોમાં પ્રવેશ માટે આ પરીક્ષા યોજવામાં આવી હતી. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી સહિતની ભારતમાં અગ્રણી એન્જિનિયરિંગ અને આર્કીટ્રેક્ચર કોલેજોમાં પ્રવેશ માટે આ પરીક્ષા યોજવામાં આવી હતી. ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, નિરમા યુનિવર્સિટી, પીડીપીયુ અને અન્ય સંસ્થાઓમાં પ્રવેશ માટે આ પરીક્ષા યોજવામાં આવી હતી. સીટના ૫૦ ટકા સુધી પ્રવેશ માટે આને લઇને ખુબ મહત્વ રહેલું છે. અત્રે નોંધનીય છે કે, એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે ગુજરાતમાં જેઈઈની પરીક્ષા અગાઉ ફરજિયાત હતી પરંતુ વર્ષ ૨૦૧૬ બાદથી રાજ્ય સરકારે ફરીથી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)ને લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો જેના કારણે જેઈઈમાં ઓછા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુત્રોના કહેવા મુજબ અગાઉરાજ્યમાંથી જેઈઈમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૬૦૦૦૦ની આસપાસ હતી પરંતુ ગુજકેટની રજૂઆત બાદ સંખ્યા ઘટીને ૧૨૦૦૦ જેટલી થઇ છે. આજની પરીક્ષા ઓફ લાઈન ટેસ્ટ તરીકે હતી. અમદાવાદમાં જેઈઈ (મેઇન) માટે ૧૪ સ્કુલોમાં સેન્ટરો રહ્યા હતા. વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, પાટણ, ગોધરા અને વલસાડમાં પણ સેન્ટરો રાખવામાં આવ્યા હતા. અધિકારીઓના કહેવા મુજબ આ વર્ષે વિદ્યાર્થીઓને સવારે સાત વાગે એન્ટ્રી આપવામાં આવી હતી જ્યારે પરીક્ષા હોલમાં ચકાસણી આઠ વાગ્યા બાદ શરૂ થઇ હતી. ઓનલાઈન ટેસ્ટ જુનાગઢ અને જામનગરમાં પણ યોજાઈ હતી.
આગળની પોસ્ટ