ભાજપ પ્રમુખ અમિત શાહે આજે ઓરિસ્સામાં ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફુંક્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર શિક્ષણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામતની નીતિને નાબૂદ કરવા જઇ રહી નથી. આવી કોઇ યોજના પણ નથી. શિક્ષણ અને નોકરીમાં અનામતની નીતિ યથાવતરીતે અમલી રહેશે. અમિત શાહે ઉપસ્થિત લોકોને સંબોધતા રેલીમાં કહ્યું હતું કે, બંધારણમાં બીઆર આંબેડકર દ્વારા સ્થાપિત કરવામાં આવેલી અનામતની નીતિને બદલવાની કોઇપણ હિંમત કરી શકે નહીં. અમિત શાહે રાષ્ટ્રવ્યાપી ભારત બંધ દરમિયાન થયેલી હિંસામાં માર્યા ગયેલા ડઝન જેટલા લોકોના મોત માટે વિરોધ પક્ષો અને કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. એસસી અને એસટી અત્યાચાર અટકાયત ધારાની જોગવાઈ દૂર કરવામાં આવી છે તેવી ગેરમાહિતી ફેલાયા બાદ આને લઇને હિંસાની શરૂઆત થઇ હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે વડાપ્રધાને લોકોને ખાતરી આપી હતી કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કેન્દ્ર સરકાર રિવ્યુ અરજી દાખલ કરનાર છે ત્યારે બંધની હાકલ કેમ કરવામાં આવી હતી. બંધમાં અનેક લોકોના મોત થઇ ગયા હતા. આ લોકોના મોત માટે કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પહેલાથી જ અપીલ કરી દીધી છે. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, ગેરમાહિતી માટેની ઝુંબેશ મિડિયા મારફતે શરૂ કરવામાં આવી હતી. સોશિયલ મિડિયા ઉપર પણ એવી અફવા ફેલાવવામાં આવી હતી કે, ભાજપ અનામતને પરત ખેંચી લેશે. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં તેઓ ખાતરી આપવા માંગે છે કે, અનામતની નીતિમાં કોઇ ફેરફાર થઇ રહ્યા નથી. ભવિષ્યમાં પણ કોઇ ફેરફાર થશે નહીં. મોદીને ટાંકીને ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, અમને ભારતના બંધારણમાં વિશ્વાસ છે. અમિત શાહે ઓરિસ્સામાં કાલાહાંડી જિલ્લામાં ભવાનીપટણામાં લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે જાહેર સભા કરી હતી. હાલમાં તેઓ બે દિવસના પ્રવાસે છે. ઓરિસ્સામાં પટનાયક સરકારને વિદાય આપવા માટે લોકોને તેઓેએ અપીલ કરી હતી. ઓરિસ્સામાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. રાજ્યમાં શાસન કરવા ભાજપને તક આપવા અપીલ કરી હતી.
પાછલી પોસ્ટ