એસસી અને એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામેના વિરોધમાં દેશવ્યાપી ભારત બંધની અસર આજે મંગળવારના દિવસે પણ કેટલાક વિસ્તારમાં જોવા મળી હતી. રાજસ્થાનના કરોલીમાં બે દલિત નેતાઓના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કરોલીના ભાજપના દલિત ધારાસભ્ય રાજકુમારી જાટવ અને પૂર્વ મંત્રી ભરોસીલાલ જાટવના આવાસ સળગાવી દેવામાં આવ્યા હતા. એમ કહેવામાં આવે છે કે આ બનાવ બન્યો ત્યારે આ વિસ્તારમાં ૪૦૦૦૦ જેટલા લોકો એકત્રિત થયા હતા.
એમ પણ જાણવામાં આવ્યું છે કે, ભારતબંધ દરમિયાન દેખાવકારોએ બસમાં મહિલાઓ સાથે છેડતી કરી હતી જેના વિરોધમાં ઉગ્ર ટોળાએ દલિત નેતાઓના ઘરને ફુંકી માર્યા હતા. એક શોપિંગ મોલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સોમવારના દિવસે ભારત બંધ દરમિયાન કરોલીના હિન્દોન સિટીમાં બંધ દરમિયાન વ્યાપક હિંસા થઇ હતી. બંધ સમર્થકોએ ભારે લૂંટફાટ ચલાવી હતી. આના કારણે શહેરમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ટોળાએ દેખાવ દરમિયાન પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. દેખાવકારોએ એટીએમ મશીન પણ તોડી નાંખ્યા હતા. ભારત બંધ દરમિયાન ગઇકાલે રાજસ્થાનમાં થયેલી હિંસા દરમિયાન ગોળીબારમાં એકનું મોત થયું હતું. મૃતકની ઓળખ પવન જાટવ તરીકે થઇ છે. બીજી બાજુ એસસી અને એસટી એક્ટ સાથે જોડાયેલા નિર્ણયની ફેરવિચારણા અરજી પર કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે સમગ્ર મામલામાં કોઇપણ પ્રકારના સ્ટેનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, આ મામલામાં એસસી-એસટી એક્ટની જોગવાઈમાં કોઇ છેડછાડ કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે આ મામલાની ખુલ્લી અદાલતમાં સુનાવણી હાથ ધરી હતી.