પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પર અગ્રીમ ચોકીઓને ટાર્ગેટ બનાવીને આજે ફરી એકવાર જોરદાર ગોળીબાર કર્યો હતો. જેના કારણે અંકુશ રેખાની આસપાસ વિસ્ફોટક સ્થિતી ઉભી થઇ ગઇ હતી. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો. એક આર્મી અધિકારીએ માહિતી આપતા કહ્યુ હતુ કે પાકિસ્તાની સેનાએ નાના હથિયારો, ઓટોમેટિક્સ હથિયારો અને મોર્ટાર મારફતે હુમલો કર્યો હતો. આ તમામ પ્રકારના હથિયારોનો ઉપયોગ કરીને કૃષ્ણા ઘાટી સેક્ટરમાં અંકુશ રેખા પર પાકિસ્તાની સેનાએ જોરદાર ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો. પાકિસ્તાનને વારંવારની ચેતવણી આપવામાં આવી હોવા છતાં પાકિસ્તાને સતત ગોળીબાર જારી રાખ્યો છે. આ વર્ષે અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાને ૬૫૦થી વધારે વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે. અગાઉ ગઇકાલે સોમવારના દિવસે કાશ્મીરમાં સંચારબંધી જેવા નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા હતા. સાથે સાથે બંધની માઠી અસર જોવા મળ ીહત. જમ્મુકાશ્મીરના જુદા જુદા ભાગોમાં ત્રણ જુદી જુદી અથડામણમાં ૧૩ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ બંધની અસર રહી હતી. અથડામણોમાં ૧૩ ત્રાસવાદીઓ ઉપરાંત ત્રણ જવાન શહીદ થયા હતા. એક નાગરિકનુ પણ મોત થયુ હતુ. સુરક્ષા દળોની સાથે ટોળાની અથડામણમાં ત્રણ નાગરિકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા હતા. હિંસા વધારે ન ફેલાય તેની ખાતરી કરવા માટે ખીણના જુદા જુદા ભાગોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. અલગતાવાદીઓ દ્વારા વધુ એક દિવસ માટે બંધની હાકલને વધારી દેવામાં આવી છે. દુકાનો અને વેપારી પેઢીઓ બંધ રહી હતી. દક્ષિણ કાશ્મીર અને જુના શ્રીનગર શહેરમાં કઠોર નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. સરકારે સ્કુલ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી છે. કાશ્મીર યુનિવર્સિટીમાં પણ દેખાવો કરવામાં આવ્યા હતા. કારણ કે વિદ્યાર્થીઓએ મોત સામેના વિરોધમાં દેખાવો કર્યા હતા. બીજી બાજુ પોલીસે જેકેએલએફના નેતા મોહમ્મદ યાસીન મલિકની અટકાયત કરી હતી અને તેને શ્રીનગરની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. હુર્રિયત લીડર સઇદ અલીશાહ ગિલાની અને અન્ય નેતા મીરવાઈસ ઉંમર ફારુકને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમને માર્યા ગયેલા ત્રાસવાદીઓને શ્રદ્ધાંજલિ આપવા સાથે સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેવાની મંજુરી આપવામાં આવી ન હતી.
આગળની પોસ્ટ