સુરતમાં લીંબાયત વિસ્તારમાં શનિવારની મોડી સાંજે બે કોમના લોકો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. બંને કોમનાં ટોળા આમને-સામને આવી જતાં પથ્થરમારા, તોડફોડ થતાં માહોલ તંગ બન્યો હતો. હનુમાન જયંતી નિમિતે નીકળેલી રેલી દરમિયાન આ ઘટના બની. જ્યાં કેટલાક લોકો નજીકમાં આવેલ મસ્જિદ પર ચઢી ધજા લહેરાવતા મીનારો તૂટી પડયાની ખોટી અફવા ફેલાઈ હતી. આવી કોઈ ઘટના બની ન હતી. પણ આ અફવા ફેલાતાં વાતાવરણ તંગ બન્યું હતું.
પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ પર પણ પથ્થરમારો કરાતાં એક પીએસઆઇ સહિત કોન્સ્ટેબલને પણ ઇજા થઈ હતી.પરિસ્થિતિને થાળે પાડવા પોલીસે બળ પ્રયોગ કરવાની નોબત આવી હતી. આ ઘટનામાં આઠ તોફાની તત્વોની અટકાયત કરી છે. અને ઘટનાની તપાસ હાથ ધરી છે. માહોલ વધુ તંગ ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ બને કોમના અગ્રણીઓની બેઠક પણ રાતોરાત બોલાવી હતી. જ્યાં બને કોમના લોકોએ પણ આ ઘટના પાછળ અસામાજિક તત્વોનો હાથ હોવાનું જણાવી ઘટનાનું ખંડન કર્યું હતું.
ફરી કોઈ કાંકરીચાળો ન થાય તે માટે સમાજના અગ્રણી અને જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા શાંતિ જાળવવા તેમજ ખોટી અફવાઓ તરફ ધ્યાન ન આપવાની અપીલ કરાઈ હતી.ઘટનાના પગલે આસપાસના લોકોમાં પણ ભયનું વાતાવરણ ઉભું થયું હતું. જેમાં તોફાની ટોળા દ્વારા સામાન્ય નાગરિકોના વાહનોને નિશાન બનાવવામા આવ્યા હતા. ટોળા દ્વારા આશરે ચાર વાહનોમાં તોડફોડ કરી ભારે નુકશાન પોહચાડવામાં આવ્યું હતું. તો જે વ્યક્તિના વાહનમાં તોડફોડ કરાઈ તે વ્યક્તિએ જણાવ્યું કે પંદર જેટલા પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે હાજાર હતા. જેની સામે પોતાની ફોર વ્હીલને ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે આ ટોળા ને રોકવા સુધીની તસ્દી લીધી ન હતી.આ ઘટના બનવા પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સૌ પ્રથમ જોઈ શકાય છે કે વિશાળ સંખ્યામાં રેલી મસ્જિદ નજીકથી પસાર થઈ રહી છે. ત્યારે રેલીમાં જોડાયેલ કેટલાક ટીખણખોરો મસ્જિદની દીવાલ પર ચઢી હાથમાં તલવાર અને ધજા લઈ નજરે પડી રહ્યા છે. લીંબાયત વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાના આશયથી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી જોઈ શકાય છે. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજ પણ હાલ કબ્જે લઈ અન્ય આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ શરૂ કરી છે.