થોડા સમય ૫હેલા જ અમદાવાદમાંથી નાટ્યાત્મક રીતે ગુમ થયા બાદ મળી આવેલા અને સરકાર ઉ૫ર ચોંકાવનારા આક્ષેપો કરનાર વિશ્વ હિન્દુ ૫રિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો.પ્રવિણ તોગડિયાને હટાવવા માટે તૈયારીઓ આદરી દેવામાં આવી છે. અગાઉ અધુરી રહી ગયેલી વિહિપની ચૂંટણી પ્રક્રિયા કરીને નવા પ્રમુખની વરણી માટેની કવાયત તેજ બની છે.
આગામી તા.૧૩-૧૪ એપ્રિલના રોજ દિલ્હીમાં આ ચૂંટણી પ્રક્રિયા યોજાશે.ડો.પ્રવિણ તોગડીયા થોડા દિવસો ૫હેલા અમદાવાદમાંથી એકાએક ગૂમ થઇ ગયા હતા. ત્યાર બાદ તેઓ સીધા હોસ્પિટલમાંથી મળી આવ્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ મારું એન્કાઉન્ટર કરવા માગે છે. તેઓએ મોદી ઉપર પણ સીધા પ્રહારો કર્યા હતા. તેમજ અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની કચેરી વડાપ્રધાનના કાર્યાલયનાં ઇશારે જ કામ કરતી હોવાના ખુલ્લા આક્ષેપો કર્યા હતા. ભૂતકાળમાં અનેક વખત તેઓએ પીએમ મોદીની ભારે આકરી ટીકાઓ કરી હતી. એક સમયનાં મોદીના ખાસ નજીકના અને વિશ્વાસુ ગણાતા તોગડીયા અને મોદી વચ્ચે અત્યારે ઉંડી ખાઇ જેટલું અંતર થઇ ગયું છે.
કહેવાય છે કે ડો. તોગડીયા ક્યારે પીએમ મોદીનો આદેશ માનતા નથી.તેમજ પોતાની ઇચ્છા મુજબ અને વિવેક બુદ્ધિ મુજબ જ નિર્ણય લેતા હોય છે. કેન્સરના સર્જન એવા ડો. પ્રવિણ તોગડીયા વર્ષોથી વિહિપમાં સેવા બજાવી રહ્યા છે. ભાજપને ગુજરાતમાં સત્તા અપાવવામાં પણ તેમનો સિંહફાળો છે. પરંતુ મોદી સામે સીધો હુમલો કરતા હવે તેમનો ‘વરઘોડો’ પાછો આવે એ નિશ્ચિત થઇ ગયું છે.
અગાઉની અધુરી રહેલી ચૂંટણી પ્રક્રિયા ૧૩-૧૪ એપ્રિલે દિલ્હીમાં પુરી કરાશે. આધારભૂત સૂત્રો જણાવે છે કે ડો. પ્રવિણ તોગડીયા પોતાના ઉમેદવાર તરીકે હૈદ્રાબાદના એક ઉદ્યોગપતિને ઉભા રાખવાનો પ્રસ્તાવ મુકશે. તેની સામે ગુજરાતનાં આરએસએસનાં નેતાને મેદાનમાં ઉતારાશે. ડો. તોગડીયાને હરાવવા માટે પીએમ મોદીએ તમામ તૈયારીઓ કરી લીધી છે.
પાછલી પોસ્ટ