ઇરાકમાં આઇએસના હાથે માર્યા ગયેલા તમામ ભારતીયોના મૃતદેહોને ભારત લાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. જો કે હજુ ભારતીયોના મૃતદેહને ભારત લાવવામાં ૮-૧૦ દિવસનો સમય લાગી શકે છે. વિમાન ભારતીયોના મૃતદહેને લઇને પહેલા પંજાબ જશે. ત્યારબાદ બિહાર અને પશ્ચિમ બંગાળ જશે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ઇરાકમાં લાપત્તા થયેલા ૩૯ ભારતીયોના મોતને ગઇકાલે સમર્થન આપતા દેશમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. ૩૯ ભારતીયોના મોતના અહેવાલને ગઇકાલે સમર્થન આપી દેવામાં આવ્યું હતું. વિપક્ષના પ્રહાર બાદ સુષ્મા સ્વરાજે આના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ૩૯ પૈકી ૩૮ મૃતદેહને લાવવા માટે વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહ ઇરાક જશે. સુષ્મા સ્વરાજ લોકસભામાં ઇરાકમાં માર્યા ગયેલા ૩૯ ભારતીયોના મોત અંગે માહિતી આપી રહ્યા હતા ત્યારે વિપક્ષે ધાંધલ ધમાલ કરીને સ્થિતિને વધારે બગાડી હતી. વિપક્ષની ધાંધલ ધમાલથી સ્પીકર પણ દુખી દેખાયા હતા. તેઓએ સંવેદનશીલતા જાળવવા અપીલ કરી હતી. સુષ્માએ કહ્યું હતું કે, ૨૦૧૪ની ઘટના છે. જૂન મહિનાની અને આજે ૨૦૧૮નો ગાળો છે. આ ગાળા દરમિયાન અમે તમામ પ્રયાસો કરી રહ્યા હતા. જે કંઇ પણ શક્ય હતું તે કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને બનતા તમામ પ્રયાસો કર્યા હતા. તેઓએ પોતે વિદેશમંત્રીઓ સાથે વાત કરી હતી. તેઓ વારંવાર કહી રહ્યા હતા કે જ્યાં સુધી પુરાવા મળશે નહીં ત્યાં સુધી અમે લાપત્તા ભારતીયોને મૃતક તરીકે ગણી શકીએ નહીં. ભારતીયોના મૃતદેહ લાવવાના પ્રયાસ જારી છે.