દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અને તેમના પુત્ર અમિત સિબ્બલની પણ માફી માંગી લીધી છે. કેજરીવાલ અને નીતિન ગડકરીએ આજે પટિયાલા હાઉસકોર્ટમાં સંયુક્ત અરજી કરી હતી અને બદનક્ષીના કેસને પરત ખેંચવાની મંજુરી માંગી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ ડ્રગ્સના કેસમાં તેમની સંડોવણીના આક્ષેપો કરવાના સંદર્ભમાં અકાળીદળના નેતા વિક્રમજીત મજેઠિયાની માફી માંગ્યાના એક દિવસ બાદ આ ઘટનાક્રમ આવ્યો છે. કેજરીવાલે ગડકરીને પત્ર લખીને વાંધાજનક નિવેદન કરવા બદલ માફી માંગી હતી. કેજરીવાલે કહ્યું હતું કે, કોઇપણ પ્રકારની ચકાસણી કર્યા વગર આડેધડ નિવેદન કરવામાં આવ્યા હતા જેના માટે તેઓ માફી માંગે છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમની કોઇ અંગત દુશ્મનાવટ ન હતી. હવે તેઓ આ મામલાને ભુલી જવા માંગે છે. કોર્ટની કાર્યવાહી બંધ થાય તેમ ઇચ્છે છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કપિલ સિબ્બલની પણ માફી માંગી લીધી છે. કેજરીવાલે કહ્યું છે કે, તેઓ કોઇપણ પ્રકારના વાંધાજનક નિવેદનથી ઇચ્છુક છે. ૨૦૧૪માં દિલ્હીના મુખ્યમંત્રીએ ગડકરી સામે બદનક્ષીપૂર્વકના આક્ષેપો કર્યા હતા ત્યારબાદ ભાજપના નેતાએ તેમની સામે ક્રિમિનલ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદથી કેજરીવાલ મુશ્કેલીમાં મુકાયા હતા. કાયદાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આખરે કેજરીવાલે માફી માંગી લીધી છે. માફી માંગવાના કારણે કેજરીવાલની તેમની પાર્ટીમાં વ્યાપક ટિકા થઇ રહી છે. આગામી દિવસોમાં એએપીના કેજરીવાલ સામે બળવો કરવામાં આવે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. કારણ કે, ઘણા નેતાઓ કેજરીવાલની કામ કરવાની રીતને લઇને ખુબ જ નાખુશ થયેલા છે. કેન્દ્ર સરકાર સાથે પણ તેમની ખેંચતાણ છે.