સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઘાસચારા કોંભાડના ચોથા કેસમાં આવતીકાલે સીબીઆઇ કોર્ટ સઘન સુરક્ષા વચ્ચે ચુકાદો જાહેર કરનાર છે. આ કેસમાં બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રા સહિત અનેક હાઇ પ્રોફાઇલ લોકો આરોપ તરીકે છે જેથી ચુકાદા પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ઘાસચારા કોંભાડનો ચોથો કેસ ડુમકા તિજોરીમાંથી ૩.૧૩ કરોડ રૂપિયાની ઉચાપત સાથે સંબંધિત છે. એ વખતે લાલુ યાદવ બિહારના મુખ્યમંત્રી હતા. આ કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા અને અન્ય ૨૯ લોકો પણ આરોપી છે. આ તમામ આરોપીઅંગે ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. ૬૯ વષીય લાલુ યાદવ હાલમાં ગયા વર્ષે સજા કરવામાં આવ્યા બાદથી ડિસેમ્બર મહિનાથી બિરસા મુન્ડા જેલમાં છે. રાંચીમાં ડોરાન્ડા તિજોરીમાંથી ૧૩૯ કરોડ રૂપિયાની ઉંચાપત સાથે સંબંધિત મામલો હજુ પેન્ડિંગ છે. લાલુને ઘાસચારા કૌભાંડના ત્રણ કેસમાં પહેલાથી જ સજા આપવામાં આવી ચુકી છે. જ્યારે મિશ્રાને ઝારખંડમાં જુદી જુદી કોર્ટ દ્વારા બે ઘાસચારા કૌભાંડ કેસમાં અપરાધી જાહેર કરાયા છે.અત્રે નોધનીય છે કે, ૨૪મી જાન્યુઆરીના દિવસે સનસનાટીપૂર્ણ ઘાસચારા કોંભાડના ચાઇબાસા તિજોરીમાંથી ઉચાપતના કેસમાં લાલુને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઘાસચારા કૌભાંડના ત્રીજા કેસમાં લાલૂને સજા કરવામાં આવી હતી. સ્પેશિયલ સીબીઆઈ જજ એસએસ પ્રસાદે અગાઉ લાલૂ અને અન્ય ૫૦ અપરાધીઓને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. વર્ષ ૧૯૯૨-૧૯૯૩માં ચાઈબાસા તિજોરીમાં ૩૩.૬૭ કરોડ રૂપિયાની ઉચાપત સાથે સંંબંધિત આ કેસ હતો. લાલૂની સાથે પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને પણ જેલની સજા કરવામાં આવી હતી. તેમને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. લાલૂ અને મિશ્રા બંનેને રાંચીની કોર્ટે પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એવો આક્ષેપ હતો કે, બનાવટી ફાળવણી પત્રોનો ઉપયોગ કરીને ૩૩.૬૭ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. ૭.૧૦ લાખ રૂપિયાની મંજુર કરવામાં આવેલી રકમના બદલે આ રકમ ઉપાડવામાં આવી હતી. ત્રીજા કેસમાં બે સરકારી કર્મચારીઓ અને ચારામાં ચાર સપ્લાયર્સને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. ચાઇબાસા ઉચાપતના કેસમાં કોર્ટે ૫૬ આરોપીઓ પૈકી ૫૦ને દોષિત જાહેર કર્યા હતા. ઘાસચારા કૌભાંડના મામલાઓ પૈકીના એક એવા દેવઘર તિજોરીમાંથી ઉચાપત સંબંધિત મામલામાં સીબીઆઈની ખાસ અદાલતે આરજેડી વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને છઠ્ઠી જાન્યુઆરીના દિવસે સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. એ વખતે કોર્ટે લાલૂ ઉપર પાંચ લાખ રૂપિયાનો દંડ પણ લાગૂ કર્યો હતો.લાલૂને જામીન પણ આપવામાં આવ્યા ન હતા. દેવઘર તિજોરીમાં ગેરકાયદેરીતે ૮૯.૨૭ લાખ રૂપિયાની ઉચાપત સાથે સંબંધિત મામલામાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે લાલૂ સહિત ૧૬ દોષિતોએ રાંચીની બિરસામુંડા જેલમાં એક સાથે બેસીને આ ચુકાદો સાંભળ્યો હતો. ચુકાદો ત્રીજી જાન્યુઆરીના દિવસે આવવાનો હતો પરંતુ તારીખ એક એક દિવસ ટળી રહી હતી પરંતુ આખરે સજા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લાલૂ પ્રસાદ યાદવ પરિવારને ૨૩મી ડિસેમ્બરના દિવસે મોટો ફટકો પડ્યો હતો. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડમાં વધુ એક મામલામાં રાંચીની સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. અલબત્ત કોર્ટે ૨૨ આરોપીઓમાંથી પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત છ લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા. ૧૯૯૬માં થયેલા આ કૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં ૨૦૧૩માં નિચલી અદાલતે લાલૂ યાદવને દોષિત જાહેર કર્યા હતા. આ કૌભાંડમાં એવા લોકો ઉપર અલગ અલગ છ કેસો ચાલી રહ્યા છે. ૨૩મી ડિસેમ્બરે ખાસ અદાલતે દેવઘરની સરકારી તિજોરીમાંથી ૮૪.૫૩ લાખ રૂપિયાની ગેરકાયદેરીતે ઉચાપતના મામલામાં લાલૂ યાદવને દોષિત જાહેર કર્યા હતા. જાન્યુઆરી ૧૯૯૬માં આશરે ૯૫૦ કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો તે વખતે તત્કાલીન અધિકારી અમિત ખરેએ પશુપાલન વિભાગની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ત્યારે એવા દસ્તાવેજ મળ્યા હતા જેનાથી જાણવા મળ્યુ કે વર્ષ ૧૯૯૦માં એવી કંપનીઓને સરકારી ભંડોળથી ચારા પુરવઠાના નામ પર પૈસા જારી કરવામાં આવ્યા હતા. જે કંપનીઓ હતી જ નહી. માર્ચ ૨૦૧૨માં ઘાસચારા કૌભાંડ સાથે સંબધિત કેસમાં ૪૪ લોકોની સામે ચાર્જશીટ દાખલ કરાઇ હતી. ઘાસચારા કૌભાંડમાં લાલુ મુશ્કેલીમાં છે. ડુમકા ઘાસચારા કૌભાંડ કેસમાં શનિવારે ચુકાદો આપવામાં આવનાર હતો પરંતુ છેલ્લી ઘડીએ ચુકાદો મોકુફ કરી દેવામાં આવ્યો હતો. રાજકીય રીતે ભારે ચર્ચા જગાવનાર આ કેસમાં સુનાવણી પાંચમી માર્ચના દિવસે પૂર્ણ કરી લેવામાં આવી હતી પરંતુ ચુકાદો લાલુ યાદવ દ્વારા વારંવાર નવેસરની અરજી દાખલ કરવાના કારણે ચુકાદો મોકુફ કરી દેવામાં આવ્યો હતો.