બિનભાજપ અને બિન કોંગ્રેસ વિકલ્પ સ્થાપિત કરવા માટે પ્રયાસ કરી રહેલા તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે આવતીકાલે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાતચીત કરવાનો નિર્ણય કર્યો છે. રાવે હાલમાં જ કહ્યું હતું કે, બિન કોંગ્રેસ અને બિન ભાજપ મોરચાની રચના કરવામાં આવી શકે છે. આને તેઓએ મજબૂત વિકલ્પ તરીકે ગણાવીને આ દિશામાં આગળ વધવા કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ આ રાજકીય મોરચાની જવાબદારી લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેલંગાણાના મુખ્યમંત્રીની ઓફિસમાં પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, રાજનીતિમાં નવા વિકલ્પની વાત ચંદ્રશેખર રાવ કરી રહ્યા છે ત્યારે આ મિટિંગને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આવતીકાલે મમતા બેનર્જી સાથેની બેઠકમાં નવા વિકલ્પ ઉપર ચર્ચા થશે.
સાંજે ચાર વાગ્યાની આસપાસ બંને નેતાઓ વચ્ચે બેઠક થશે. ચોથી માર્ચના દિવસે મમતા બેનર્જીએ રાવ સાથે ફોન ઉપર વાત કરી હતી અને પોતાના સમર્થનની જાહેરાત કરી હતી. સંચાલનમાં વ્યૂહાત્મક ફેરફાર લાવવા માટે રાષ્ટ્રીય રાજનીતિમાં ભૂમિકા ભજવવા તેઓ તૈયાર છે તેવા ચંદ્રશેખર રાવના નિવેદન બાદ મમતા બેનર્જીએ સાથે રહેવાની વાત કરી હતી. બેનર્જીએ રાવને કહ્યું હતું કે, અમે આપની સાથે છીએ. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રમાં કોંગ્રેસ અને ભાજપની સરકારો વારંવાર રહી છે. આવી સ્થિતિમાં રાવનો આક્ષેપ છે કે, બંનેના લીધે દેશની વિકાસની ગતિ રોકાઇ ગઇ છે. રાવે એમ પણ કહ્યું છે કે, તેઓ તેમના જેવી વિચારધારા ધરાવતા લોકો સાથે વાતચીત કરશે અને દેશના વિકાસ માટે એજન્ડાની રચના કરવા નેતાઓને ભેગા કરશે. રાવ દ્વારા શ્રેણીબદ્ધ બેઠકો યોજવાનો કાર્યક્રમ તૈયાર થઇ રહ્યો છે.
પાછલી પોસ્ટ