Aapnu Gujarat
ગુજરાત

વિપક્ષના સભ્યોએ પ્રશ્નકાળ વેળા મૌન રહીને વિરોધ કર્યો

ગુજરાત વિધાનસભામાં ગઇકાલે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી અને ગાળાગાળીની કલંકિત ઘટના બાદ આજે વિધાનસભા ગૃહમાં તેના પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. વિધાનસભામાં મારામારી પ્રકરણમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ગઇકાલે અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા બાદ આજે કોંગ્રેસના બાકીના ધારાસભ્યોએ ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો હતો પરંતુ પ્રશ્નકાળ દરમ્યાન દોઢેક કલાક સુધઈ મૌન રહી, પશ્નો નહી પૂછી અસહકારનું અનોખુ આંદોલન છેડી ભાજપની દમનકારી નીતિ સામે જોરદાર વિરોધ કર્યો હતો. વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનો વારો આવવાં છતાં કોંગી ધારાસભ્ય આનંદ ચૌધરીએ એક પણ શબ્દ બોલ્યા વિના મૌન રહી વિરોધ વ્યકત કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોનો મૌન વિરોધ અને ગૃહની કાર્યવાહીમાં અસહકાર આંદોલન સૂચક જણાતું હતું. પાણી અને દારૂબંધી મુદ્દે યોગ્ય જવાબ નહી મળતાં આખરે વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરી ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ભાજપ વિરોધી જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. વિધાનસભા ગૃહમાં ગઇકાલે કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત અને અમરીષ ડેરની ભાજપના ધારાસભ્યો સાથે થયેલી બબાલમાં દુધાતે ઉશ્કેરાઇ જઇ ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ પર માઇક વડે હુમલો કર્યો હતો, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચેની મારામારીના દ્રશ્યો દેશભરમાં નિંદા અને ટીકાને પાત્ર બન્યા હતા. મામલાની ગંભીરતા ધ્યાને લઇ અધ્યક્ષે પ્રતાપ દુધાત, અમરીષ ડેરને ત્રણ વર્ષ માટે અને બળદેવ ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. વિધાનસભાના ઇતિહાસની આ પ્રથમ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત અને વિરોધ આજે ગૃહની કાર્યવાહી દરમ્યાન કોંગ્રેસની છાવણીમાં જોવા મળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો આજે ગૃહમાં કંઇ જ બોલ્યા ચાલ્યા વિના મૌન બેસી રહ્યા હતા અને ગૃહની કાર્યવાહીમાં અસહકારનું આંદોલન છેડી અનોખો વિરોધ વ્યકત કર્યો હતો. આજે ગૃહની કાર્યવાહીમાં ક્રમશઃ પ્રશ્નોમાં કોંગ્રેસના ધારાસભ્યનો પ્રશ્ન આવતો હોવાથી વિપક્ષના સભ્યએ પ્રશ્ન પૂછયા ન હતા. જેને પગલે અધ્યક્ષે તેમનો પ્રશ્ન મુવ નહી કરતાં અધ્યક્ષે બીજા ક્રમાંકના અન્ય પ્રશ્ન મુવ કર્યો હતો. આજે પ્રશ્નકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરી(માંડવી)નો પ્રશ્ન ક્રમાંક બે હતો, પરંતુ તેમનો પ્રશ્ન પૂછવાનો વારો હોવા છતાંય પ્રશ્ન નહી પૂછીને અનોખો વિરોધ વ્યકત કર્યો હતો. વિધાનસભા ગૃહમાં ભારે ધાંધલ ધમાલ થયાના એક દિવસ બાદ આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો. કોઇપણ પ્રકારનો હોબાળો જોવા મળ્યો ન હતો. ગઇકાલે વિધાનસભામાં ગૃહમાં મારામારી સુધીના દ્રશ્યો સર્જાઈ ગયા હતા.

Related posts

સમાજ એકસંપ થઈને બિનહિંદુ શક્તિઓના કાવતરાઓને નિષ્ફળ બનાવે : ભૈયાજી જોશી

aapnugujarat

સુરેન્દ્રનગર ખાતે ભાજપાના વિજય સંકલ્પ સંમેલનમાં હજારો કાર્યકરોએ ભવ્ય વિજયના સંકલ્પ લીધા

aapnugujarat

રાજ્યના એકમાત્ર આરામની મુદ્રામાં બિરાજમાન મંદિર એટલે સાકરિયાનું ભિડ ભંજન હનુમાનજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1