અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અને રાજ્યના એકમાત્ર આરામની મુદ્રામાં બિરાજમાન હનુમાનજી મંદિરે હનુમાન જ્યંતિની ઉજવણી કરવામાં આવી. ચૈત્રી સુદ પૂનમના દિવસે હનુમાન જ્યંતિ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહી છે ત્યારે મોડાસા તાલુકાના પૌરાણિક અને એક માત્ર આરામની મુદ્રામાં અને દર્શનાર્થીઓના માનતા પુરી કરતા ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.
છેલ્લા બે વર્ષથી કોરોના વાઈરસની મહામારીને લઇને તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવતા જો કે હવે કોરોનાનો કહેર નહિંવત રહેતા આ વર્ષે હર્ષોલ્લાસ સાથે હનુમાન જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં મારૂતી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યાં ભક્તો યજ્ઞમાં જોડાયા હતા અને દાદાની પૂજા કરી હતી.
કહેવાય છે કે, કળયુગમાં હનુમાનજીની ભક્તિ કરવાથી જાતકની દરેક મુસીબતો દુર થઇ જાય છે. શાસ્ત્રોમાં લખાયું છે કે, જે પણ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને આસ્થાથી હનુમાનજીની ભક્તિ કરશે, તેમને હનુમાનજીની ઉપસ્થિતિનો અહેસાસ થશે. અને આજ કારણે આપણા દેશમાં ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે, જ્યાં હનુમાનજીનું મંદિર કે પૂજા સ્થાન નહિ હોય. આપણા દેશમાં અનેક એવા હનુમાન મંદિર આવેલા છે, જ્યાં માત્ર દર્શન કરવાથી તમારા બધા દુઃખ દુર થઇ જાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે.