રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક સુરેશ સદાશિવરાવ જોશી ઉર્ફે ભૈયાજી જોશીએ હિંદુ સમાજની એકતા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, સમાજ એકસંપ થઈને બિનહિંદુ શક્તિઓના કાવતરાઓને નિષ્ફળ બનાવે નહીંતર રાષ્ટ્ર વૈભવશાળી નહીં બની શકે. મેરઠમાં આયોજિત રાષ્ટ્રોદય કાર્યક્રમમાં જોશીએ જણાવ્યું હતું કે સંઘ સામાજિક પરિવર્તન મુદ્દે આંદોલન ચલાવી રહ્યો છે. તેવામાં જાતિ, ક્ષેત્ર અને ભાષા વિશેના મુદ્દા ઉઠાવવાથી નહીં પણ હિંદુત્વથી સમાજ બદલાશે.આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારા રાષ્ટ્રોદય સમાગમની તૈયારી માટે આયોજિત કાર્યક્રમમાં ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે ગૌરક્ષાને મુદ્દે ભ્રમણાનો ફેલાવો કરાઈ રહ્યો છે. ગૌરક્ષા આંદોલન મુસ્લિમ કે ખ્રિસ્તી વિરોધી નથી. તે મુદ્દાને કારણ વિના સાંપ્રદાયિક મુદ્દો બનાવાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ગોરક્ષા જેવા દેશની અસ્મિતા સાથે સંકળાયેલા મુદ્દાને સાંપ્રદાયિક જાહેર કરીને જે લોકો અસંતોષ ફેલાવે છે તેવા લોકો વિરુદ્ધ સમાજને જાગ્રત કરવો જોઇએ.પ્રદૂષણ, કન્યા ભ્રૂણહત્યા, અસ્પૃશ્યતા જેવી સામાજિક બદીઓ પર પ્રહાર કરતાં જોશીએ જણાવ્યું હતું કે દહેજ પ્રથા, કન્યા ભ્રૂણહત્યા, પ્રદૂષણ જેવી બીમારી સમાજનું પતન કરે છે. સરકાર કાયદો ઘડીને આવી સમસ્યા દૂર ના કરી શકે. તે માટે સમાજે આગળ આવવું જોઇએ. માનસિકતા બદલવી જોઇએ. તેમણે સ્વચ્છ ભારત અભિયાન સામે પણ સવાલ કરતાં જણાવ્યું હતું કે જાહેર ખબરો આપીને કે પત્રિકા વહેંચીને સ્વચ્છતાકાર્ય ના થઈ શકે. હકીકતે આપણે જાતે જ બદલાઈને સરકારની સ્વચ્છતાની ઇચ્છાને પાર પાડવી જોઇએ.