જ્યારે એક તરફ ગુજરાત અને તેની આજુબાજુમાં ગરમીની અસર શરૂ થઈ રહી છે ત્યારે અરૂણાચલ પ્રદેશના તવાંગમાં સોમવારથી ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાના કારણે સેલા ઘાટમાં મુસાફરો અને સ્થાનિક લોકો સહિત આશરે ૬૮૦ લોકો અને ૩૨૦ વાહનો ફસાયેલા હતા. તેમને કાઢવા માટે સેનાની મદદ લેવામાં આવી અને ગઈકાલે મોડી સાંજથી બચાવનું કામ ચાલી રહ્યું છે. જે આખી રાત ચાલ્યું હતું.તવાંગમાં સોમવારે બપોર સુધીમાં ૨ ફૂટ હિમવર્ષા થઈ ચુકી હતી.
આ દરમિયાન અહીરગઢ અને સેલા ઘાટ વચ્ચે મોટી સંખ્યામાં વાહનો ફસાઈ ચુક્યા હતા. તેમજ આ વિસ્તારમાં તાપમાન પણ શૂન્યથી પણ નીચે જતું રહ્યું છે.સેનાની નજીક આવેલા બેઝ બૈસાખીથી ત્રણ દળો દ્વારા બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોડી રાત સુધીમાં તમામ લોકો અને વાહનોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. એક દળ દ્વારા કુલ ૧૮૮ વાહનો અને ૪૦૦ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.આ ઉપરાંત અન્ય બે દળો દ્વારા પણ લોકોને બચાવવાનું કામ ઝડપથી કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ સેલા ઘાટમાં બચાવનું કામ કરવામાં આવ્યું અને સોમવાર મોડી સાંજ સુધીમાં ૨૮૦ લોકો અને ૧૩૨ વાહનોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં સફળ થયા છે.હાલમાં તવાંગના વાતવરણની સ્થિતિ જોતાં આગળનો પ્રવાસ કરવા માટે સેના દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગે પણ એલર્ટની જાહેરાત કરી છે.
આગળની પોસ્ટ