પીવા માટે નર્મદાના પાણીના વિકલ્પ તરીકે રાજ્ય સરકારે હવે દરિયાના પાણીને પીવા લાયક કરવા માટેનું આયોજન હાથ ધર્યુ છે. દરિયાના પાણીને ડિસેલિનિટેસનના માધ્યમથી મીઠુ કરીને ઉનાળામાં ઉપયોગમાં લઈ શકાય કે કેમ તેને લઇને સરકારે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે. ખાસ કરીને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રમાં પ્રતિદિન ૧૫૦૦ એમએલડી પાણીની જરૂરિયાત છે ત્યારે સરકારે પીપીપી મોડલથી માળીયા પાસે ૧૦૦ એમએલડી પ્લાન્ટ નાંખવાનુ આયોજન હાથ ધર્યુ છે. જેમાં ઈઝરાયેલી ટેલનોલોજીથી દરિયાના ખારા પાણીને પીવા લાયક બનાવાશે. મીઠા પાણીને સરકાર વોટર પર્ચેઝ એગ્રિમેન્ટના માધ્યમથી ખરીદીને નાગરિકો સુધી પહોચાડશે. જો માળિયામાં પ્રયોગ સફળ થશે તો સરકાર પીપીપી મોડલથી ૧૦૦ એમએલડીના ૧૦ થી ૧૫ પ્લાન્ટને મંજૂરી આપશે.
હાલમાં માળીયામાં પ્લાન્ટ નાંખવા માટે વૈશ્વિક ટેન્ડર પ્રક્રિયાની કવાયત શરૂ કરાઈ છે.