Aapnu Gujarat
ગુજરાત

મંજૂરી વિના રેલી કાઢવાના કેસમાં જિજ્ઞેશ-રેશમાને ત્રણ મહિનાની કેદ

આંદોલનકારી તરીકે જાહેર જીવનમાં આવી હાલ રાજકારણી બની ગયેલા રેશ્મા પટેલ તેમજ જિજ્ઞેશ મેવાણીને મહેસાણામાં ૧૨ જુલાઈ ૨૦૧૭માં પરવાનગી વિના રેલી કાઢવાના ગુનામાં સ્થાનિક કોર્ટે ત્રણ મહિનાની કેદની સજા ફટકારી છે. આ મામલે કુલ ૧૭ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જ્યારે ૧૨ લોકો સામે ચાર્જશીટ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે તમામ લોકોને કસૂરવાર ઠેરવીને સજાનું એલાન કર્યું છે. ૨૦૧૭માં સોમનાથ ચોકથી રેશ્મા પટેલ, જિજ્ઞેશ મેવાણી ઉપરાંત કન્હૈયા કુમારે રેલી કાઢી હતી, પરંતુ તેના માટે પોલીસે કોઈ મંજૂરી નહોતી આપી. જેથી તમામ લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું અવસાન થયું હતું.
ઉનાકાંડની પહેલી વરસી પર મહેસાણામાં આઝાદી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેશ્મા પટેલ, જિજ્ઞેશ મેવાણી તેમજ કન્હૈયા કુમાર સહિત ૧૨૦ જેટલા લોકો જાેડાયા હતા. પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી અને તેમને પાંચ કલાક કસ્ટડીમાં રાખીને છોડી દેવાયા હતા. ત્યારબાદ આઈપીસીની કલમ ૧૪૩ હેઠળ મહેસાણા સિટીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૧૫ લોકો વિરુદ્ધ ગેરકાયદે રીતે ભેગા થવા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
રેલી કાઢવામાં આવી તે દિવસે ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં દલિતો સોમનાથ ચોક પર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બેનર હેઠળ એકઠા થાય હતા. રેલીને મેવાણી, કન્હૈયા કુમાર અને રેશમા પટેલે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ ચારેક કલાક સુધી ચાલ્યો હતો, જેમાં યોગેન્દ્ર યાદવે પણ ભાષણ કર્યું હતું. સોમનાથ ચોકમાં એકત્ર થયેલા લોકોએ રેલી કાઢવાની તૈયારી કરી ત્યારે મહેસાણા પોલીસે તેમને રોક્યા હતા, કારણકે રેલી કાઢવાની તેમની પાસે મંજૂરી નહોતી.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનું આયોજન કરાયું ત્યારે જિજ્ઞેશ મેવાણી ધારાસભ્ય હતા, પરંતુ તેઓ કોઈ પક્ષ સાથે સંકળાયેલા નહોતા. હાલ તેઓ કોંગ્રેસમાં જાેડાઈ ગયા છે, જ્યારે અન્ય દોષિત રેશ્મા પટેલ પણ એનસીપી સાથે જાેડાણ ધરાવે છે. કન્હૈયા કુમાર ડાબેરી પક્ષની ટિકિટ પર ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડી તેમાં હારી ચૂક્યા છે, અને હવે તેઓ પણ કોંગ્રેસમાં જાેડાઈ ગયા છે. જિજ્ઞેશ મેવાણી સામે તાજેતરમાં જ અસમમાં બે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં તેમને લોકઅપમાં રહેવાનો પણ વારો આવ્યો હતો. હાલ તેઓ આ બંને કેસમાં જામીન પર મુક્ત છે. જેમાં એક કેસ પીએમ મોદી વિરુદ્ધ ભડકાઉ ટ્‌વીટ કરવાનો જ્યારે બીજાે કેસ મહિલા પોલીસકર્મી પર હુમલો કરવા બદલ દાખલ કરવામાં આવ્યો હતો.

Related posts

લાડોલ ગામમાં દેવીપૂજક પરિવારે કૂવામાં ઝંપલાવ્યું

editor

અમદાવાદીઓ સુધરી ગયા

aapnugujarat

ભારત સરકાર ગેઝેટ બહાર પાડે, ત્યારબાદ જ ગુજરાતમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1