ચીનની સંસદે આજે અતિમહત્વપૂર્ણ બંધારણીય સુધારાને લીલીઝંડી આપી હતી. આની સાથે જ ચીનના વર્તમાન પ્રમુખ શી જિંગપિંગ માટે આજીવન પ્રમુખ રહેવા માટેનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. જિંગપિંગ હવે આ જીવન પ્રમુખ તરીકે રહી શકે છે. ચીનની સંસદે બે અવધિની ફરજિયાત જોગવાઈને બે તૃતિયાંશ બહુમતથી દૂર કરી દીધી હતી. સત્તારુઢ કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ચાઈના દ્વારા રજૂ કરવામાં આવેલા સુધારાને સંસદની મંજુરી મળી જશે તે બાબત પહેલાથી જ દેખાઈ રહી હતી. માત્ર ઔપચારિકતા બાકી હતી જેને આજે પુરી કરવામાં આવી હતી. શી જિંગપિંગ હવે ચીનના આજીવન પ્રમુખ તરીકે રહી શકે છે. પાર્ટીના પ્રસ્તાવને સમર્થન કરવાના કારણે આશરે ૩૦૦૦ સભ્યોવાળી સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસને સામાન્યરીતે રબર સ્ટામ્પ સંસદ તરીકે કહેવામાં આવે છે. સંસદના વાર્ષિક સત્રના પહેલા સત્તારુઢ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાએ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બે અવધિની સમય મર્યાદાને દૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, માઓત્સે તુંગની જેમ અનિશ્ચિત અવધિ સુધી ફરી કોઇ દ્વારા સત્તા કબજે કરવાના ખતરાને ધ્યાનમાં લઇને સન્માનિત નેતા જિંગપિંગને ચીનમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બે મહત્તમ અવધિ ૧૦ વર્ષ સુધી સત્તામાં રહેવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. જો કે, આજે બંધારણીય સુધારાની સાથે જ ૬૪ વર્ષીય શી જિંગપિંગના ચીનના પ્રમુખ તરીકે આજીવન રહેવા માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. હાલમાં તેમની બીજી અવધિ ચાલી રહી છે. આ અવધિ ૨૦૨૩માં પૂર્ણ થશે. જિંગપિંગના આજીવન પ્રમુખ તરીકે રહેવાની ગતિવિધિને લઇને વિશ્વના દેશો આશ્ચર્યચકિત થયા છે. હાલના સમયમાં ચીનના વિસ્તારવાદી વલણના કારણે વિશ્વના દેશો હેરાન પરેશાન થયા છે. હિંદ મહાસાગર વિસ્તારમાં ચીને તેની ગતિવિધિ વધારી છે. જિંગપિંગના શાસનમાં ચીનથી વિશ્વના દેશો અને ખાસ કરીને એશિયન દેશો પરેશાન થયેલા છે.
પાછલી પોસ્ટ