આવતીકાલથી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સહેજ ચિંતા અને ગભરાહટની લાગણી સાથે ઉત્તેજનાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. બીજીબાજુ, બોર્ડ, રાજય સરકાર સહિત જિલ્લા વહીવટી તંત્રએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ યોજાય તેની તમામ તૈયારીઓ કરી રાખી છે. બોર્ડના તમામ સેન્ટર એવી શાળાઓ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્તથી માંડીને નીરીક્ષક સુધીની વ્યવસ્થા પણ કરી દેવાઇ છે. તો, અમદાવાદ શહેર સહિત રાજયની શાળાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાને લઇ ખાસ આયોજનો કર્યા છે. ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં સમગ્ર રાજયમાંથી કુલ મળી ૧૭.૧૪ લાખ નોંધાયા છે. બોર્ડની પરીક્ષા માટે પસંદ કરાયેલી મોટાભાગના સેન્ટરો પર સીસીટીવીથી સજ્જ કરાયા છે, જે સેન્ટરો પર સીસીટીવી શકય નથી બન્યા ત્યાં ટેબલેટથી વિદ્યાર્થીઓ અને પરીક્ષા પ્રક્રિયા પર નજર રાખવામાં આવશે. બોર્ડની પરીક્ષાની રિસીપ્ટનું વિતરણ થઇ ગયું હોઇ બોર્ડ દ્વારા કરાયેલી વ્યવસ્થા મુજબ, વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે તેમના વિદ્યાર્થીનો જે શાળામાં નંબર આવ્યો હતો, તે શાળા અને બેઠક વ્યવસ્થા માટે જોવા ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની જે તમામ સ્કૂલો કે જેમાં બોર્ડની પરીક્ષા માટેનું સેન્ટર અપાયું છે તે શાળામાં બપોરના ૧૨થી સાંજના ૪ વાગ્યા સુધી બેઠક વ્યવસ્થા જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી આજે આ સમયગાળા દરમ્યાન વિદ્યાર્થીઓ અને વાલીઓએ તેમના નંબર, શાળા અને બેઠક વ્યવસ્થા જોઇને ખરાઇ કરી લીધી હતી. આવતીકાલથી શરૂ થઇ રહેલી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં કુલ મળી ૧૭,૧૪,૯૭૯ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ધોરણ-૧૦ના કુલ ૧૧,૦૩,૬૭૪ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ૧૩,૦૪,૬૭૧ અને ધોરણ-૧૨ સામમાન્ય પ્રવાહના ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ કુલ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી છે. તેઓએ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે કોઇપણ પ્રકારનો માનસિક તાણ રાખ્યા વિના પરીક્ષા આપવા અનુરોધ અને શુભેચ્છા પાઠવ્યા હતા. બીજીબાજુ, બોર્ડ સત્તાવાળાઓ અને શિક્ષણવિભાગ દ્વારા આવતીકાલથી શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષાઓને લઇ પરીક્ષાના પ્રશ્નપત્ર પહોંચાડવાથી માંડી તેને પરત એકત્ર કરી સીલ કરવા સુધીની તમામ તૈયારીઓ અને વ્યવસ્થા હાથ ધરી દીધી છે. ધોરણ-૧૦ના ૭૯ ઝોનમનાં કુલ ૯૦૮ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ૩૩૬૧ શાળા સંકુલમાં કુલ ૩૭,૭૦૦ બ્લોક નક્કી કરવામાં આવ્યા છે, જયાં વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા મુજબ પરીક્ષા આપશે. આ જ પ્રકારે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૫૬ ઝોનના ૧૪૦ કેન્દ્રોમાં ૧૪૦ શાળા બિલ્ડીંગમાં ૬૮૮૦ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. તો, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ૫૬ ઝોનમાં ૫૦૦ કેન્દ્રો ખાતે ૧૫૨૫ બિલ્ડીંગમાં ૧૫,૭૫૭ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી શરૂ થઇ રહેલી ધોરણ-૧૦ની પરીક્ષા તા.૨૩ મી માર્ચે પૂર્ણ થાય છે. ધોરણ-૧૨ની વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા ૨૨મી માર્ચે અને ધો-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.૨૮મી માર્ચના રોજ પૂર્ણ થાય છે. બોર્ડની પરીક્ષાઓને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સહેજ ચિંતા અને ગભરાહટની લાગણી સાથે સાથે ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ શહેર અને ગ્રામ્યની વિવિધ શાળાઓમાં સવારે ૧૧-૩૦ થી ૪-૩૦ દરમ્યાન વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમની બેઠક વ્યવસ્થા જોવા માટે ઉમટયા હતા અને તેમનો બ્લોક નંબર, પરીક્ષા ખંડ અને બેઠક વ્યવસ્થાની ચકાસણી-ખરાઇ કરી લીધી હતી. બીજીબાજુ, શાળાઓ દ્વારા પણ આવતીકાલથી શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષાને વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની તકલીફ ના પડે તે હેતુથી તેમના પીવાના પાણી, સ્ટેશનરી, પ્રાથમિક આરોગ્ય સુવિધા સહિતની તમામ વ્યવસ્થા અને તૈયારીઓ કરી રખાઇ છે.
પાછલી પોસ્ટ