રાજયભરમાં ઉનાળાના દિવસો દરમ્યાન પાણીની મુશ્કેલી સર્જાય નહી તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના પાણીના વિકલ્પમાં રૂ.૨૦૬ કરોડના ખર્ચે હાથ ધરાયેલા ૩૨ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી. નર્મદા યોજનામાં પાણીની ૫૦ ટકાથી ઓછી આવક છતાં રાજયના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા તા.૩૧ જૂલાઇ સુધીનું મહત્વનું આયોજન કરાયું છે અને તેના ભાગરૂપે રાજયના ૧૪૦૦ ગામો અને ૩૨ શહેરોને વૈકલ્પિક યોજના દ્વારા પાણી પૂરૂ પાડવામાં આવશે. એટલું જ નહી, સમીક્ષા બેઠક દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી ચોમાસા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના જળાશયોના પાણીના જથ્થાને પીવાના પાણી માટે અનામત રાખવા અધિકારીઓને સૂચના આપી હતી. સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં વધારાની હેન્ડપંપ રેપરીંગ ટીમો કાર્યરત કરાશે. આ સિવાય અગરિયાઓ માટે પીવાના પાણીની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે છેવાડાના માનવી સુધી પીવાનું પાણી મળી રહે તે કામને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે અને એટલે જ આ વર્ષે નર્મદા ડેમમાં ૫૦ ટકાથી પણ ઓછુ પાણી ભરાયું હોવાછતાં રાજય સરકારે તા.૩૧ જૂલાઇ સુધીમાં પાણીમાં ઉભી થનારી જરૂરિયાતને પહોંચી વળવા યુધ્ધના ધોરણે કામગીરી આરંભાઇ છે. રાજયમાં હાલ નર્મદા આધારિત યોજનાઓમાંથી ૮૬૩૯ ગામ અને ૧૬૫ શહેરી વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પડાય છે ત્યારે રવિ સીઝન માટે સિંચાઇનું પાણી અપાયા બાદ સ્થાનિક જળસ્ત્રોતમાં ઉપલબ્ધ પાણીનો પીવા માટે સુચારુ ઉપયોગ થાય તેની જરૂરિયાત પર મુખ્યમંત્રીએ ભાર મૂકયો હતો. રાજયમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા આગામી તા.૧૫મી માર્ચથી નર્મદા નહેરમાં માત્ર પીવાના પાણીનું જ વહન કરવામાં આવશે તેવું રાજય સરકાર દ્વારા નક્કી કરાયું છે. સૌરાષ્ટ્રના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રખાયો છે તે ઉપરાંત સાની, વર્તુ-૨, ઘી, ઓઝત-૨, બ્રાહ્મણી-૧, ૨, ફોદાળા ડેમ અને કચ્છના ફતેહગઢ, ગોધતડ, મીઠ્ઠી, સુવાઇ જેવા ડેમમાંથી વધારાનો જથ્થો નર્મદાના વિકલ્પે પૂરું પાડવાનું આયોજન કરાયું છે. જે ગામ શહેરોને નર્મદાનું પાણી પહોંચતું બંધ થાય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બીજુ પાણી પહોંચાડવા પણ સરકાર દ્વારા તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે.