પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે ભારત ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં આમ બજેટ ૨૦૧૮-૧૯માં મહેસૂલી ખોટ ઓછી કરવા અંગેના ઉપાયો અંગે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે જો હું જેટલીની જગ્યાએ હોતતો અત્યાર સુધી રાજીનામું આપી દીધું હોત. આ ચર્ચામાં ચિદમ્બરમે વધુમાં જણાવ્યું હતું કે જેટલીએ બીજા દ્વારા લખવામાં આવેલા ભાષણને વાંચવામાં ચોકકસપણે મુસીબત અનુભવી હશે. તેમણે બજેટની ટીકા કરતાં જણાવ્યું હતું કે સરકાર મહેસૂલી ખોટને ઘટાડવામાં સાવ નિષ્ફળ રહી છે.તેમણે જણાવ્યું કે આ બજેટથી આગામી દિવસોમાં મોંઘવારી વધી જશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકારને કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો તેનો લાભ થઈ રહ્યો છે. પરંતુ સરકાર તેનો આમ જનતાને લાભ આપતી નથી. તેમણે જણાવ્યુ કે સરકારે બજેટમાં અંદાજ લગાવ્યો છે કે ૨૦૧૮-૧૯માં મહેસૂલી ખોટનો દર ૩.૩ ટકા રહેશે. તેમણે જણાવ્યું કે મહેસૂલી અને ખર્ચની સ્થિતિ શંકાસ્પદ હોવાના કારણે આ લક્ષ્ય પ્રાપ્ત કરવુ મુશ્કેલ થઈ જશે.પૂર્વ નાણાં પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આ કોઈ જીએસટી નથી. તેમની સરકાર જ્યારે જીએસટી લાવી રહી હતી ત્યારે તમામ ચીજો પર ૧૮ ટકા ટેકસની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ વર્તમાન જોગવાઈ જીએસટીને બદનામ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નોટબંધી, જીએસટી સહિતના તમામ આર્થિક બાબતો અંગે નાણાં પ્રધાન જેટલીના તમામ નિર્ણયો અંગે ચિદમ્બરમ્ તરફથી સતત વિરોધ થઈ રહ્યો છે.
આગળની પોસ્ટ