દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારામારીના મામલામાં ધરપડ કરવામાં આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને પ્રકાશ જરવાલને જામીન આપવાનો કોર્ટે ઇન્કાર કરી દીધો છે. આની સાથે જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. દિલ્હીની તીસહજારી કોર્ટમાં બંને ધારાસભ્યોએ જામીન માટે અરજી કરી હતી. કોર્ટે સાથે જ દિલ્હી પોલીસની ધારાસભ્યોને બે દિવસના રિમાન્ડ પર લેવા માટેની અરજીને પણ ફગાવી દીધી છે. અત્રે નોંધનીય છે કે, ખાન અને જરવાલ ઉપર મુખ્ય સચિવ પ્રકાશની સાથે મારામારી કરવાનો આક્ષેપ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સલાહકાર વીકે જૈને કહ્યું છે કે, તેઓએ પોતાની આંખોથી બંને ધારાસભ્યોને મુખ્ય સચિવને મારતા નિહાળ્યા હતા. અલબત્ત એએપીએ આ પ્રકારના આક્ષેપોને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે, તેમના નેતાઓને ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેજરીવાલના આવાસ પર બોલાવીને અંશુ પ્રકાશ સાથે મારામારી કરવાનો આક્ષેપ થયા બાદ ભારે હોબાળો મચેલો છે. કેજરીવાલ સરકાર મુશ્કેલીમાં દેખાઈ રહી છે. આ સંદર્ભમાં કેજરીવાલના રાજીનામાની માંગ પણ થઇ રહી છે. એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ એએપીના બે ધારાસભ્યો અમાનતુલ્લા ખાન અને પ્રકાશ જરવાલની ધરપકડ કરવામાં આવી હતી. બંનેની પુછપરછ ચાલી રહી છે. આ ઘટના બાદ દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને આઈએએસ એસોસિએશન વચ્ચે સામ સામે આક્ષેપો થઇ રહ્યા છે. એએપીનું કહેવું છે કે, રાત્રે ૧૨ વાગે કેજરીવાલના આવાસે બોલાવીને ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે, મારામારીની બાબત અયોગ્ય છે. કેજરીવાલના સલાહકાર વીકે જૈન કહી ચુક્યા છે કે, અંશુ પ્રકાશ સાથે મારામારી થઇ હતી.
પાછલી પોસ્ટ