પ્રાઇવેટ હોસ્પિટલ સાથે જોડાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આમાં જાણવા મળ્યું છે કે, આ હોસ્પિટલ દવાઓ અને ડાયગ્નોસ્ટિકના નામ ઉપર ૧૨૦૦ ટકા સુધી નફો મેળવી રહ્યા છે. આ ખુલાસો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો છે. આના માટે દિલ્હી અને એનસીઆરની ચાર મોટી ખાનગી હોસ્પિટલની બિલમાં તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કોઇપણ દર્દીના જે કુલ બિલ બને છે તેમાં ૪૬ ટકા ખર્ચ દવા અને ડાયગ્નોસ્ટિક ઉપર થાય છે. આજે જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોટાભાગના ફાયદા દવા બનાવનારનો નહીં બલ્કે હોસ્પિટલનો થાય છે. નેશનલ ફાર્મા પ્રાઇઝિંગ ઓથોરિટીના કહેવા મુજબ આવું એટલા માટે થાય છે કે, પ્રાઇવેટ હોસ્પિટલ પોતાની રીતે દવાઓ ઉપર વધારે રેટ પ્રિન્ટ કરાવે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલ મોટાભાગની એવી દવાઓ લખે જે તેમની ઓળખીતી અથવા તો ઓળખવાળી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં દર્દી અને તેના પરિવારના સભ્યો આ પ્રકારની દવાઓ અન્ય જગ્યાએથી ખરીદી શકતા નથી. હોસ્પિટલ ફાર્માસિસ્ટ કંપનીઓ ઉપર દબાણ લાવે છે પરંતુ તેની અસર ખુબ ઓછી દેખાઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દર્દી અને તેમના પરિવારના સભ્યો આવી સ્થિતિમાં જંગી નાણા ચુકવવા માટે મજબૂર રહે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી આ તપાસ ચોક્કસ કારણોસર કરી છે. કારણ કે, હાલમાં જ ખાનગી હોસ્પિટલો ઉપર કેટલીક વખત વધારે બિલ વસુલવાના આક્ષેપો થતા રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોઇ ઇન્જેક્શન હોસ્પિટલને છ રૂપિયામાં પડે છે તો તે ઇન્જેક્શનને હોસ્પિટલ ૧૦૬ રૂપિયામાં આપે છે અને આનો લાભ ૧૭૩૭ ટકા સુધી થઇ જાય છે.