રાંધણ ગેસ (એલપીજી) સિલીન્ડર પર ગ્રાહકોને અપાતી સબસિડી ધીમે ધીમે બંધ કરી દેવાનો નિર્ણય લેવા બદલ કેન્દ્ર સરકારની આજે વિરોધપક્ષોએ સાથે મળીને ઝાટકણી કાઢી છે અને તેના નિર્ણયને નિષ્ઠુર ગણાવી એને તત્કાળ પાછો ખેંચવાની માગણી કરી છે.રાજ્યસભામાં, ઝીરો અવર દરમિયાન કોંગ્રેસના કે.સી. વેણુગોપાલે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણયથી સામાન્ય માનવીના બજેટ પર માઠી અસર થશે. ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ જ્યારે ઘટી ગયા છે ત્યારે સબસિડી બંધ કરવાનો નિર્ણય કોઈ રીતે વાજબી નથી.તૃણમુલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાયે કહ્યું હતં કે સરકારે એલપીજી સિલીન્ડરના ભાવમાં કરેલો તીવ્ર વધારો છેલ્લા છ વર્ષમાં સૌથી ઊંચો છે.
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના શ્રીમતી ટીચરે સરકારના નિર્ણયને નિષ્ઠુર ગણાવ્યો હતો તો આરએસપીના સભ્ય પ્રેમચંદ્રને એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર આ બાબતમાં પારદર્શકતા જાળવતી નથી. એણે આ નિર્ણય ગયા માર્ચમાં લીધો હતો, પણ જાહેર જનતાને વાકેફ કરી નહોતી.સરકારે કોઈ પ્રતિસાદ ન આપતાં વિપક્ષી સભ્યો બાદમાં આ મુદ્દે ગૃહમાંથી સભાત્યાગ કરી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકારે તેની હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને રાંધણ ગેસ (એલપીજી) સિલીન્ડરની કિંમતમાં દર મહિને ચાર રૂપિયાનો વધારો કરવાનો આદેશ આપ્યો છે.ઓઈલ કંપનીઓને જણાવાયું છે કે સરકાર આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં એલપીજી સિલીન્ડર પર અપાતી સબસિડીનો અંત લાવવા માગે છે તેથી દર મહિને એલપીજી ગેસ સિલીન્ડરની કિંમતમાં ચાર રૂપિયાનો વધારો કરવો.