સીએમ રુપાણી અતિવૃષ્ટિ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના રાહતકાર્યોમાં માર્ગદર્શન અને ગ્રામજનોની જાત મુલાકાત અંતર્ગત લાખણી તાલુકાના ધુણસલ ગામે પહોંચ્યાં હતાં જ્યાં તેમણે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નવાં ગામતળ વિકસાવવાની દિશામાં સરકાર વિચારી રહી હોવાનું જણાવ્યું હતું.આ મુદ્દે તેમણે કહ્યું કે બનાસકાંઠાએ ૨૦૧૫માં પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિનો સામનો કર્યો હતો. હવે ૨૦૧૭માં આ ચોમાસામાં પણ અતિ ભારે વરસાદ અને પૂરની વિપદા વેઠી છે.
ત્યારે નદીના વહેણમાં આવતાં નીચાણવાળા ગામોના વિસ્તારોએ આ વિકટ સ્થિતિનો જે સામનો કરવો પડ્યો છે તેના લાંબા ગાળાના નિવારણ અને ઉકેલની દિશામાં સરકાર વિચારી રહી છે.આવા નદીના વહેણ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં વસેલા ગ્રામોના ગ્રામજનો અને નાગરિકોની સંમતિ હશે અને જરૂરિયાત જણાશે તો સરકાર તેમને અન્યત્ર જગ્યાએ ગામો વસાવી આપશે. એટલું જ નહીં, આવા નીચાણવાળા વિસ્તારના લોકો માટે જરૂર જણાયે નવું ગામતળ બનાવી આપવાની દિશામાં પણ સરકાર વિચારણા કરશે.