પીએનબી ફ્રોડના મામલામાં આરોપી નિરવ મોદી પાસેથી લાભ લેવાના આરોપ મુકવામાં આવ્યા બાદ હવે કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવી આવક વેરા વિભાગની કાર્યવાહીની જાળમાં ફસાય તેવા અહેવાલ આવી રહ્યા છે. આવકવેરા વિભાગના જોધપુર એકમ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં અનિતા સિંઘવીને નોટિસ ફટકારીને માહિતી આપવા સૂચના આપવામાં આવી છે. નિરવ મોદી અને તેમની વચ્ચે થયેલી આર્થિક લેવડદેવડના આક્ષેપોનો જવાબ આપવા માટે અભિષેક મનુ સિંઘવીના પત્નિને આદેશ કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગે નોટિસ ફટકાર્યા બાદ કાયદાકીય વર્તુળોમાં પણ આની ચર્જા જોવા મળી રહ છે.આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં અનિતા સિંઘવી પર નિરવ મોદીને ખોટીરીતે આર્થિક લાભ આપવાના આરોપો અંગે તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. સુત્રોના કહેવા મુજબ નિરવ મોદીથી આશરે છ કરોડ રૂપિયાની જ્વેલરી ખરીદવા અને આના માટે ૪.૮ કરોડ રૂપિયાની રકમ રોકડમાં ચુકવવાના આરોપમાં આવકવેરા વિભાગે અનિતા સિંઘવી પાસેથી જવાબની માંગ કરી છે. અલબત્ત આવકવેરા વિભાગ અથવા તો અભિષેક મનુ સિંઘવીના પરિવાર તરફથી કોઇ માહિતી આપવામાં આવી નથી. પીએનબી ફ્રોડ મામલામાં એક પછી એક નવી વિગતો સપાટી ઉપર આવી રહી છે. ભાજપના નેતા અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવી પર નિરવ પાસેથી લાભ લેવાનો આક્ષેપ કર્યો છે. ત્યારબાદ સિંઘવીએ આ મામલામાં મુકવામાં આવેલા આક્ષેપોને ખોટા ગણાવીને બદનક્ષીનો દાવો કરી દીધો છે. ભાજપ દ્વારા મુકવામાં આવેલા આક્ષેપો બાદ કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, ભાજપના નેતા જે રીતે નિરવ મોદીના મામલામાં તેમને ખેંચી રહ્યા છે તેઓ તેની સામે બદનક્ષીનો દાવો કરી શકે છે. સિંઘવીએ કહ્યું છે કે, તેમના, તેમની પત્નીનાં અથવા તો તેમના પુત્રના ગીતાંજલિ અથવા તો નિરવ મોદીની કંપની સાથે કોઇ લેવા દેવા નથી. તેમણે એમ પણ કહ્યું છે કે, કમલા મિલ્સની પ્રોપર્ટીમાં નિરવ મોદીએ ભાડામાં એક ઓફિસ લીધી હતી. આ જગ્યાની માલિકી અધિકારો અદેત્ય હોલ્ડિંગની પાસે છે જેમાં તેમની પત્ની અને પુત્ર ડાયરેક્ટર છે.