સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ-ભાવનગર દ્વારા તા.૧૮/૦૨/૨૦૧૮ના રોજ ભાવનગર ખાતે ‘‘બજેટ ફોર ન્યુ ઇન્ડિયા’’ શિર્ષક હેઠળ સામાન્ય બજેટ ૨૦૧૮-૧૯ પર એક પરિસંવાદનું આયોજન કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં રાખેલ જેમા ચેમ્બરના હોદ્દેદારો ઉપરાંત નાગરિકો વિશાળ સંખ્યામાં હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં બજેટ અંગે વિસ્તૃત માહિતી આપતા માન.મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જણાવેલ હતું કે, પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના સ્વપ્નના નવા ભારતની નિર્માણની આધારશિલારૂપ આ બજેટમાં દેશનું જીવનધોરણ સુધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરેલ છે. આ માટે ગ્રામ્યક્ષેત્ર અને આરોગ્યક્ષેત્ર પર વિશેષ ભાર મુકવામાં આવેલ છે. રૂા.૨૧.૪૭ લાખ કરોડના કુલ વાર્ષિક ખર્ચના અંદાજ સામે રૂા.૧૪.૫૦ લાખ કરોડનો ખર્ચ ગ્રામ્ય વિસ્તારમાં કરાશે જેથી ગ્રામ્ય અર્થતંત્રને વેગ મળશે સાથે આ ખરીદશક્તિ વધતા શહેરી વેપારમાં વધારો થશે. વધુમાં ભારત સરકાર દેશનાં ૫૦ કરોડ ગરીબ લોકોને બહેતર સ્વાસ્થ્ય સુરક્ષા આપવા ‘‘આયુષ્યમાન ભારત’’ સ્કીમ લાવેલ છે. જેના થકી લોકાને આરોગ્ય સુરક્ષા મળશે અને સ્વસ્થ ભારતનું નિર્માણ શકય બનશે. આમ ગરીબ, ગામડું, કૃષિ, રોજગાર અને કારીગરોને તકો આપતું આ બજેટ સર્વગ્રાહી છે. આ કાર્યક્રમમાં ચેમ્બરનાં હોદ્દેદારો સહિત નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયેલ હતા.