કેસર કેરીના રસિકો માટે આ વર્ષે ખરાબ સમાચાર આવ્યા છે. કેસરનો સ્વાદ આ વર્ષે સમય કરતાં મોડો માણી શકશે. સૌરાષ્ટ્ર અને ગીર પંથકના વાતાવરણની વિપરીત અસરને પગલે કેસર કેરીનો પાક મે માસના અંતે ઊતરે આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકોએ વ્યકત કરી છે.ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને કેરી રસિકોમાં કેસર કેરીની પસંદગી પહેલા થાય છે. ગીર વિસ્તારને કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે. મોટા પ્રમાણમાં ખેડૂતો અહીં કેસર કેરીની બાગાયતી ખેતી કરે છે. વર્તમાન વર્ષનું વાતાવરણ કેરીના પાક માટે માફક હોવાનું અત્યાર સુધી મનાઇ રહ્યું હતું. પ્રતિ વર્ષ એપ્રિલ માસમાં કેસર કેરી બજારમાં આવે છે. પરંતુ આ વર્ષે વાતાવરણની વિપરીત અસરને પગલે કેસરનો પાક મોડો આવવાની સંભાવના ખેડૂતોએ જણાવી છે. વર્તમાન વર્ષમાં આંબાના બગીચાઓમાં જોરદાર ફલાવરીંગ થતા ખેડૂતો ખુશખુશાલ હતા, પરંતુ અંતે કમોસમી વરસાદે ખેડૂતોની ખુશીને ગમમાં ફેરવી નાખી છે. ગીર પંથકમાં કમોસમી વરસાદ ખાબકતા કેસરના પાકને ભારે નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.ગીર અને સૌરાષ્ટ્ર પંથકમાં કેસર કેરીના પાકની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં કુલ ૩૭,૫૧૭ હેકટર કેસર કેરીના આંબાનું વાવેતર છે.સૌરાષ્ટ્રમાંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું ૩ લાખ ૩૪ હજાર ૯૮૪ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. ગીર સોમનાથ કૃષિવિજ્ઞાન કેન્દ્રના બાગાયત અધિકારી રણજીતસિંહ બારડે જણાવ્યું કે, કલ્ટાર આધારિત કેસર કેરી એપ્રિલ માસના અંત સુધીમાં પાકી જશે. જ્યારે કે ઓર્ગેનિક કેસર કેરી એપ્રિલના અંતથી મે માસ દરમિયાન આવે તેવી સંભાવના રહેલી છે. કેસરના મોડા પાક માટે વાતાવરણની વિપરીત અસરને કારણ ભૂત માનવામાં આવે છે. આ વાતાવરણને કારણે આ વર્ષે કેસર કેરીના પાકમાં ૨૫ ટકાનો ઘટાડો આવવાની સંભાવના છે.
પાછલી પોસ્ટ