પંજાબ નેશનલ બેંક મહાછેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી નીરવ મોદીની સામે આખરે કાર્યવાહી શરૂ કરવામાં આવી ચુકી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ હિરાકારોબારી નિરવ મોદી અને તેમના સગાસંબંધીઓ તથા અન્યો સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કરી દીધો છે. સાથે સાથે આજે દેશભરમાં નિરવ મોદીના આવાસ અને અન્ય પ્રોપર્ટી ઉપર વ્યાપક દરોડા પાડ્યા હતા. દેશભરમાં જુદા જુદા શહેરોમાં ફ્રોડના કેસમાં આ દરોડાના કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ૧૧૩૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસના સંબંધમાં આજે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોદીના મુંબઈમાં આવેલા કુર્લા ખાતેના આવાસ, કાલાઘોડા વિસ્તારમાં તેમના જ્વેલરી શો રુમ, બાંદરા અને લોઅર પારેલમાં આવેલી ત્રણ કંપનીઓ, ગુજરાતના સુરતમાં ત્રણ સ્થળો, ચાણક્યપુરીમાં મોદીના શો રુમ અને દિલ્હીમાં ડિફેન્સ કોલોની પર દરોડાની કાર્યવાહી એક સાથે હાથ ધરવામાં આવી હતી. ઇડીના અધિકારીઓનું કહેવું છે કે, આ સર્ચ ઓપરેશન આગામી થોડાક દિવસ સુધી જારી રહેશે. ફ્રોડ સંબંધિત પુરાવામાં તપાસ ચાલી રહી છે. ઇડીને શંકા છે કે, નિરવે બેંકિંગ સિસ્ટમ સાથે ઉચાપત કરીને છેતરપિંડી મારફતે જંગી નાણાં વિદેશમાં મોકલી દીધા છે. બનાવટી આયાતના દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. ઇડી દ્વારા નિરવ અને અન્યો સામે સીબીઆઈ કેસના આધાર પર મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો છે. બે બેંક અધિકારીઓને સાથે રાખીને બેંકને ડિફોલ્ટ કરવાના મામલામાં મની લોન્ડરિંગ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં સીબીઆઈએ મોદી, તેમના પત્ની અમી, ભાઈ મિશાલ, કાકા મેહુલ ચોક્સી (ત્રણેય કંપનીઓના તમામ પાર્ટનર) સામે કેસ દાખલ કર્યો હતો. ૨૮૦ કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં આ તપાસ ચાલી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, બેંક અધિકારીઓએ છેલ્લા થોકાડ વર્ષોમાં નિરવ અને અન્યોને ૧૧૩૦૦ કરોડ રૂપિયાના લેટર ઓફ અન્ડરસેન્ડિંગ (એલઓયુ) જારી કરવામાં આવ્યા હતા. બિઝનેસ કારોબારીઓની મદદ કરવા બદલ સીબીઆઈએ પીએનબીના એક અધિકારી અને એક ક્લાર્ક સામે પણ કેસ દાખલ કર્યો છે. ગયા વર્ષે ડેપ્યુટી મેનેજર (નિવૃત્ત) ગોકુલનાથ શેટ્ટી અને સિંગલ વિન્ડો ઓપરેટર મનોજ ખારાત દ્વારા ૨૮૦ કરોડ રૂપિયાના આઠ લેટર ઓફ અન્ડરસેન્ડિંગ નિરવની કંપનીને માત્ર ત્રણ મહિનામાં જારી કર્યા હતા. ગયા મહિનામાં મોદી અને જ્વેલરી કંપની સામે પીએનબી તરફથી વધુ બે ફરિયાદો મળી હતી જેમાં ૧૧૪૦૦ કરોડ રૂપિયાની કિંમતના કારોબારનો સમાવેશ થાય છે. જ્વેલર નીરવ મોદીએ આ કોંભાડના મુખ્ય આરોપી હોવાની વિગત ખુલી છે. ભારતમાં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકની મુંબઇ શાખામાં હજારો કરોડ રૂપિયાના ફ્રોડના કારણે દેશ અને બેકિંગ ક્ષેત્રમાં ગઇકાલે ખળભળાટ મચી ગયો હતો. પંજાબ નેશનલ બેંકે મુંબઇની એક શાખામાંથી ૧૧૩૦૦ કરોડથી વધુ રકમની ગેરકાયદે લેવડદેવડ અથવા તો ગેરકાયદે ટ્રાન્જેક્શનને પકડી લીધા બાદ લોકોમાં પણ આની ચર્ચા જોવા મળી રહી છે. આ ગેરકાયદે લેવડદેવડથી કેટલાક પસંદગીના ખાતા ધારકોને ફાયદો થઇ રહ્યો હતો. બેંકે મુંબઇ સ્ટોક એક્સચેંજને આ માહિતી આજે આપી હતી. ગયા સપ્તાહમાં જ સીબીઆઇએ કહ્યુ હતુ કે તે પીએનબીની ફરિયાદના આધાર પર અબજોપતિ જ્વેલર નિરવ મોદીની સામે તપાસ હાથ ધરી છે. હકીકતમાં પીએનબી દ્વારા જ્વેલર અને અન્ય કેટલાક પર ૪.૪ કરોડ ડોલરની ફોર્જરી માટે ફરિયાદ દાખલ કરી હતી. બેંક સાથે ૨૮૦ કરોડની છેતરપિંડીનો આક્ષેપ કરવામા ંઆવ્યો હતો. રિઝર્વ બેેંક ઓફ ઇન્ડિયાએ હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. તપાસ સંસ્થાઓને નવેસરની છેતરપિંડીના સંદર્ભમાં માહિતી આપી દેવામાં આવી છે. તેના ફાયનાન્સ ઉપર આ ફ્રોડની અસર કેટલી થશે તે સંદર્ભમાં હજુ સુધી પીએનબી દ્વારા માહિતી આપવામાં આવી નથી.
આગળની પોસ્ટ