ન્યુનત્તમ બેલેન્સ પર રાહતની આશા રાખનારા એસબીઆઈના ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. એસબીઆઈના ખાતા ધારકો નક્કી કરેલું ઓછામાં ઓછું બેલેન્સ જાળવશે નહીં તો તેમણે પેનલ્ટી ચૂકવવી પડશે. દેશની સૌથી મોટી બેંકના ખાતા ધારકો માટે પહેલાની જેમ મિનિમમ બેલેન્સ માટે જરૂરી નિયમ લાગુ પડશે. જોકે, આ નિયમો અલગ-અલગ પ્રકારની બ્રાન્ચમાં અલગ-અલગ હશે.
મિનિમમ બેલેન્સના કિસ્સામાં કોના ખાતામાં કેટલી પેનલ્ટી લાગશે તે તો સરેરાશ મિનિમમ બેલેન્સ પર નિર્ભર કરશે.ન્યુનત્તમ બેલેન્સની શરત મામલે એસબીઆઈએ પોતાની શાખાઓને ૪ પ્રકારમાં વિભાજીત કરી છે. મેટ્રો, ગ્રામ્ય, અર્બન અને સેમી અર્બન. અર્બન અને મેટ્રો શાખાના ખાતા ધારકો પર પહેલાની જેમ ૩૦૦૦ રૂપિયા ન્યુનત્તમ અને સરેરાશ બેલેન્સનો નિયમ લાગુ રહેશે. એસબીઆઈએ ગયા વર્ષે જૂન મહિનામાં ન્યુનત્તમ બેલેન્સ વધારી ૫૦૦૦ રૂપિયા કર્યુ હતું. જોકે, બાદમાં ન્યુનત્તમ બેલેન્સને મેટ્રો શહેરમાં ઘટાડી ૩૦૦૦, સેમી-અર્બનમાં ૨૦૦૦ અને ગ્રામ્ય ક્ષેત્રોમાં ૧૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું હતું. સગીરો અને પેન્શનરો માટે આ મર્યાદામા ઘટાડો કર્યો હતો.
પેનલ્ટીને ૨૫-૧૦૦થી ઘટાડી ૨૦-૫૦ રૂપિયાની રેન્જમાં લાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, એસબીઆઈમાં ન્યૂનત્તમ બેલેન્સની મર્યાદા બીજી જાહેરક્ષેત્રની બેંકો કરતા વધુ અને મોટી ખાનગી બેંકોથી ઓછી છે. આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોટક અને એક્સિસ બેંકની મેટ્રો એકાઉન્ટમાં ન્યૂનત્તમ બેલેન્સ મર્યાદા રૂ. ૧૦,૦૦૦ છે.
હાલમાં એસબીઆઈએ એપ્રિલ અને નવેમ્બર ૨૦૧૭ની વચ્ચે ન્યૂનત્તમ બેલેન્સ નહીં જાળવવાને કારણે ગ્રાહકો સાથે ૧૧૭૨ કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ્યા હતાં.મેટ્રો અને શહેરી શાખાઓમાં ન્યૂનત્તમ બેલેન્સ નહીં જાળવવા પર ૩૦ થી ૫૦ રૂપિયાની વચ્ચે પેનલ્ટીની સાથે તેની પર જીએસટી પણ ચૂકવવો પડશે. અર્ધ શહેરી અને ગ્રામ્ય શાખાઓ માટે પેનલ્ટી ૨૦ રૂપિયાથી લઇ ૪૦ રૂપિયા સુધી જીએસટી છે. જોકે, ન્યૂનત્તમ બેલેન્સ કેટલું છે તેની પર આ દંડ નક્કી થાય છે.