ગુજરાતની જીવાદોરી એવી નર્મદા નદીનો સરસ્વતિ નદી સાથે જે જગ્યાએ મેળાપ થાય છે તે ત્રિવેણી સંગમનું સ્થળ એટલે ચાણોદ ગામ જયાં આવેલ આ સંગમ સ્થળને અતિશય પવિત્ર સ્થળ માનવામાં આવે છે. જોકે ડેમમાં જ પાણીની સપાટી નીચી ચાલી જતા નદી સાવ સૂકી ભટ્ટ થઈ ગઈ છે.હાલમાં જ મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરે કારણ કે નર્મદામાં પાણી નથી. જોકે મળતી માહિતી પ્રમાણે નર્માદા સ્થિતિ જેટલું આપણે સાંભળ્યું છે તેના કરતાં પણ વધારે ખરાબ છે.એક જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે ચોમાસાને આડે હજુ ચારથી પાંચ મહિના બાકી છે. ત્યારે નર્મદા ડેમમાં લઘુત્તમ લેવલથી માત્ર બે મીટર સુધી પાણી છે. હાલમાં પાણીની આવક કરતાં જાવક વધુ છે. ખેતી અને ઉદ્યોગો તો ઠીક છે પણ ચાલુ વર્ષે ઉનાળામાં લોકોને પીવાનું પાણી મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ગુજરાતની ૪.૪ કરોડ વસતી એટલે કે ૭૫ ટકા સંપૂર્ણપણે નર્મદાના પાણીના સહારે છે. તેમાં ૧૬૯ નાના-મોટા શહેર અને ૧૨૦૨૮ ગામડાઓનો સમાવેશ થાય છે.
નર્મદાનું લઘુત્તમ લેવલ ૧૧૦.૭ મીટર છે, હાલમાં ડેમમા ૧૧૨.૨૨ મીટર પાણી છે. એટલે કે માત્ર ૨ મીટર બચ્યું છે. જ્યારે ૧થી ૧૫ ડિસેમ્બર વચ્ચે ૩ મીટર પાણી છોડવામાં આવ્યું હતું, એટલે કે જેટલું પાણી અત્યારે ડેમમાં છે તેનીથી વધુ તો ૧૫ દિવસમાં છોડાયું છે. હાલમાં ૫૬૧૧ ક્યૂસેક પાણી મધ્યપ્રદેશ તરફથી ડેમમાં ગુજરાતમા આવી રહ્યું છે જ્યારે અહીંથી ૮૮૦૦ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે, એટલે કે જેટલું આવે છે તેનાથી વધુ પાણી તો છોડવું પડે છે.આ મામલે થોડા સમય પહેલા જ મુખ્યમંત્રીએ ખેડૂતોને ઉનાળું પાકનું વાવેતર ન કરવાનું કહ્યું હતું. તેમનું કહેવું હતું કે નર્મદામાં પાણી ઓછું છે અને અમારે લોકોને પીવાનું પાણી આપવાનું છે આથી ખેડૂતો ઉનાળુ પાકની વાવણી ન કરે. એટલું જ નહીં ગુજરાતના મુખ્ય સચિવ જેએન સિંહે કહ્યું હતું કે, સરકાર ઉદ્યોગોને પણ પાણી નહીં આપી શકે. સ્થાનિક સંસ્થાઓને પણ પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા રાખવાનું કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં, ચોમાસાનો અંત આવ્યો ત્યારે ડેમમાં ૧૩૦.૭૪ મીટર પાણી હતું, ડેમમાં પાણીની આવક પણ સારી એવી હતી. ડિસેમ્બર સુધી ડેમની સપાટી ૧૨૪ મીટર હતી અને ધીરેધીરે આવક ઘટવા માડી હતી. તેમ છતાં સરકારે ચૂંટણીનો સમય હોઈ માત્ર બે મહીનામાં ૧૨ મીટર પાણી વહેવડાવી દીધું. હવે ડેમમાં ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી માત્ર ૨ મીટર છે.