નર્મદા ભરૂચ વિસ્તારના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના હિરાપુરા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ – ૨૦૧૭ ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકયો હતો.
સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા અને ઉપસ્થિત મહાનુભાવોએ હિરાપુરા પ્રાથમિક શાળા ખાતે ધોરણ- ૧, ૬ અને ૯ ના બાળકોને કુમકુમ તિલક કરી ચોકલેટથી મો મીઠુ કરાવી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા શ્રી વસાવાએ જણાવ્યું હતું કે, પહેલાં વાલીઓ ગમે તે સમયે તેમના બાળકોને પ્રવેશ માટે શાળાએ લાવતા હતા. પરંતુ આપણા વડાપ્રધાનશ્રી અને પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એક જ સમયે બધા બાળકોને પ્રવેશ મળે તે માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો. જેમાં મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ વગેરે ઉંડાણના ગામોની શાળાઓમાં જઇ બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેનાથી બાળકોનો ઉત્સાહ વધ્યો છે. કન્યાઓને કુમાર સમાન શિક્ષણનો અધિકાર અપાયો છે. તેનાથી કન્યા કેળવણી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હવે ઉચ્ચ શિક્ષણમાં કુમારો કરતા કન્યાઓએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સરકારે શિક્ષણને ખાસ મહત્વ આપ્યું છે. બાળકોમાં ક્ષમતાઓ રહેલી છે તેને યોગ્ય માર્ગદર્શન સાથે વાલીઓ અને શિક્ષકોએ બાળકો આગળ વધે તેવું કામ કરવાનું છે. શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળા પ્રવૃતિઓ અંગે જાગૃત થવુ જરૂરી છે.બાળકો અને શિક્ષકોની નિયમિતતા અંગે સજાગ થવુ જોઇએ. વાલીઓ વ્યસન મુક્ત બને અને બાળકોના શિક્ષણમાં પુરતું ધ્યાન આપે તેવી આશા વ્યક્ત કરી હતી.
હરિપુરા પ્રાથમિક શાળા ખાતે સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા અને ઉપસ્થિત મહાનુભાવોએ ધો- ૧ માં ૪ કન્યા અને ૧ કુમાર સહિત કુલ- ૫, ધો- ૬ માં ૬ કન્યા અને ૭ કુમાર સહિત કુલ- ૧૩ અને ધો- ૮ માં ૩ કન્યા અને ૧ કુમાર સહિત કુલ- ૪ મળી કુલ- ૨૨ બાળકોને કુમકુમ તિલક અને મો મીઠુ કરાવી પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે ધોરણ- ૩ થી ૮ ના ક્રમ નં- ૧ થી ૩ ના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરાયા હતા. જ્યારે ધો- ૮ ની સોનલબેન તડવીને સેકન્ડરી સ્કોલરશીપ એકઝામીનેશન (રાજ્ય પરીક્ષા બોર્ડ) માં ઉતિર્ણ થવા બદલ રૂા. ૧૮૦ નો ચેક પણ શ્રી વસાવાએ અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા વિવિધ વિષયો પર વક્તવ્ય આપવામા આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી નરેન્દ્રસિંહ વિરપરાએ આભારદર્શન કર્યું હતું. આ પ્રસંગે લાયઝન અધિકારીશ્રી રાઘવભાઇ પારેખ, ગામના અગ્રણીઓ શાળા વ્યવસ્થાપન સમિતિના હોદ્દેદારો, ગ્રામજનો, બાળકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.