જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરના શ્રીમહારાજા હરિસિંહ હોસ્પિટલની અંદર લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓએ આજે ભીષણ હુમલો કરીને એક પાકિસ્તાની ત્રાસવાદી અબુ હંજૂલા ઉર્ફે નાવિદ જટને છોડાવી લેવામાં સફળતા મેળવી હતી. આના કારણે ભારતીય સુરક્ષા તંત્રની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા. અલબત્ત શ્રીનગરના એસએસપી ઇમ્તિયાઝ ઇસ્માઇલનું કહેવું છે કે, છ ત્રાસવાદીઓની ચકાસણી હોવાથી તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જેમાં નાવિદે સુરક્ષા કર્મીઓ પાસેથી રાયફલ આંચકી લીધી હતી અને ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, લશ્કરના પાકિસ્તાની ત્રાસવાદી નાવિદ જટને વર્ષ ૨૦૧૪માં દક્ષિણ કાશ્મીરના પુલગામમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. તે ત્રાસવાદી શ્રીનગર સેન્ટ્રલ જેલમાં હતો. પોલીસ કર્મી પાકિસ્તાની ત્રાસવાદી નાવિદને તપાસ માટે હોસ્પિટલ લઇને આવ્યા હતા. તેજ ગાળા દરમિયાન તોઇબાના આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. હોસ્પિટલમાં ત્રાસવાદી હુમલા દરમિયાન હુમલાખોરોની સાથે બચી ગયેલો ત્રાસવાદી નાવિદ ફરાર થવામાં સફળ રહ્યો હતો. હુમલા દરમિયાન હોસ્પિટલની બહાર ભારે અંધાધૂંધી જોવા મળી હતી. કાકાસરાય વિસ્તારમાં હોસ્પિટલની બહાર જટ ઉર્ફે અબુ હંજલાને લઇ જતી પોલીસ ટુકડી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસ જવાન ઘટનાસ્થળે જ શહીદ થયો હતો. એક પોલીસ જવાનની કાર્બાઈન રાયફલ પણ લાપત્તા છે. પોલીસ ટુકડી છ ત્રાસવાદીઓને મહારાજા હરિસિંહ હોસ્પિટલમાં લઇને જઈ રહી હતી. એકાએક જ હુમલો કરવામાં આવ્યો હતો. ઉધમપુર ત્રાસવાદી હુમલામાં તેની સ્પષ્ટપણે સંડોવણી રહી હતી. આ ત્રાસવાદી હુમલાથી ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરહદ પર પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કૃત્ય કરીને ભીષણ ગોળીબાર કરવામા ંઆવ્યા બાદ હવે સરહદ પર વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. બીજી બાજુ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ચાર ભારતીય જવાન શહીદ થયા બાદ દેશના લોકોમાં વ્યાપક આક્રોશ છે. આવી સ્થિતીમાં ભારતીય સેના ફરી એકવાર પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપીને બોધપાઠ ભણાવવાની તૈયારીમાં હોવાના હેવાલ મળી રહ્યા છે. પાકિસ્તાને ગોળીબાર કરવાની સાથે સાથે નાની મિસાઇલો પણ ઝીંકી હતી. જેમાં સેનાના ૨૩ વર્ષીય કેપ્ટન કપિલ કુન્ડુ પણ ત્રણ જવાન સાથે શહીદ થયા હતા. પાકિસ્તાને એન્ટી ગાઇડેડ મિસાઇલો પણ ઝીંકી હતી. તેનો ઉપયોગ બંકર ફંુકી મારવા માટે કરવામાં આવે છે. પાકિસ્તાની સેના દ્વારા આ દુસાહસ કરવામાં આવ્યા બાદ ભારતીય સેના જવાબી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ફાયરિંગને ધ્યાનમાં લઇને સેનાએ સરહદી વિસ્તારોમાં ૮૪ સ્કુલોને ત્રણ દિવસ માટે બંધ કરી દેવાના આદેશ જારી કરી દીધા છે.
પાછલી પોસ્ટ