રાજ્યની કોલેજોમાં અપાતા શિક્ષણમાં હાલની સેમેસ્ટર પદ્ધતિ સંદર્બે આવતી અનેક પ્રકારની રજૂઆતોને ધ્યાનમાં લઇને કોલેજોમાં સેમેસ્ટર પદ્ધતિ અંગે વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતમાં જરૂરી સુધારા વધારા કરવા યોગ્ય છે કે કેમ, તે દિશામાં, શિક્ષણ વિભાગે વિચારણા હાથ ધરી છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે અને અગ્ર સચિવ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અંજુ શર્માની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયેલ બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં હાલની પદ્ધતિમાં કઇ રીતે સુધારો થઇ શકે તે અંગે કુલપતિઓ વિદ્યાર્થી મંડળો અને વાલીમંડળો સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી તેના તારણો અને પોતાના અભિપ્રાય સાથે ૧૫ દિવસની અંદર રાજ્ય સરકારને પોતાનો અહેવાલ આપે તેવી કુલપતિઓને સૂચન ાઆપી છે. આ બેઠકમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણના હિતમાં પ્રવેશ પરીક્ષા અને પરિણામ સમયસર થાય તેવું આયોજન કરવા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કુલપતિઓને સૂચના આપી હતી.