ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને આજે યુવા ખેલાડી હાર્દિક પંડ્યાની સરખામણીમાં મહાન ખેલાડી કપિલ દેવ સાથે કરવાને લઇને આકરી પ્રતિક્રિયા આપી હતી અને આને બકવાસ તરીકે ગણાવીને કહ્યું હતું કે, કપિલ દેવ જેવો ખેલાડી બીજો જન્મ લઇ શકે નહીં. બંને ખેલાડીઓ વચ્ચે સરખામણી અંગે પૂછવામાં આવતા અઝહરુદ્દીને કહ્યું હતું કે, આ બાબત યોગ્ય રહેશે નહીં. કપિલ સાથે કોઇની સરખામણી થઇ શકે તેમ નથી. કપિલ દેવના જેવા બીજા ખેલાડી આવી શકે નહીં. કારણ કે, કપિલ દેવે એ ગાળામાં જે મહેનત કરી હતી તેની સરખામણી થઇ શકે તેમ નથી. કપિલ એક દિવસમાં ૨૦-૨૫ ઓવર ફેંકી દેતા હતા. અનેક ખેલાડીઓ આવુ કરી શકતા નથી. હાલના દિવસોમાં હાર્દિકે ખુબ સારો દેખાવ કર્યો છે જેથી કપિલ સાથે તેની સરખામણી કેટલાક લોકો કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાની સામે ટેસ્ટ શ્રેણીમાં તેનો દેખાવ શાનદાર રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટ મેચમાં ૬૩ રને મળેલી જીતની પ્રશંસા કરી હતી. અઝહરે બીજી ટેસ્ટ મેચમાં રહાણે અને ભુવનેશ્વરને મેદાનમાં ન ઉતારવાના નિર્ણયને લઇને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કેપ્ટન બીજી રીતે વિચારે છે અને ટીમ બીજી રીતે વિચારે છે. બહારથી તમામ લોકોને લાગી રહ્યું હતું કે, રહાણે અને ભુવનેશ્વરને બીજી ટેસ્ટ મેચમાં રમાડવામાં આવશે. દેશના સૌથી સફળ કેપ્ટન તરીકે રહી ચુકેલા અઝહરે કહ્યું હતું કે, છેલ્લી ટેસ્ટ મેચ જીતવામાં અમે સફળ રહ્યા તે સારી બાબત છે. વિકેટ ઉપર નંબર વન ટીમની જેમ રમ્યા હતા. જો કે, અઝહરે કહ્યું હતું કે, ત્રીજી ટેસ્ટ મેચમાં જીત બોલરોના લીધે મળી હતી.
પાછલી પોસ્ટ