પદ્માવત ફિલ્મના વિરોધને લઇ ગઇકાલે મોડી સાંજે કરણી સેના અને રાજપૂત સમાજના કાર્યકરો સહિતના તોફાની ટોળાઓએ શહેરના હિમાલયા મોલ, અમદાવાદ વન મોલ અને એક્રોપોલિસ ખાતેના પીવીઆર સહિતના પાંચેક મલ્ટિપ્લેક્સ ખાતે ૧૦૧થી વધુ વાહનોમાં આગચંપી અને તોડફોડના ચકચારભર્યા પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર આરોપી એવા માસ્ટરમાઇન્ડ રાજેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે રાજભા વાઘેલાને બચાવનાર સાણંદના કોન્સ્ટેબલ પોપટસિંહ વાઘેલા વિરૂધ્ધ આખરે ફરિયાદ નોંધાઇ છે. પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, પોપટસિંહ વાઘેલાએ આરોપી રાજેન્દ્રસિંહની ધરપકડ માટે પોલીસ સાણંદ પહોંચે તે પહેલાં પોલીસની પૂરેપૂરી માહિતી રાજેન્દ્રસિંહને આપી દીધી હતી. ખુદ કોન્સ્ટેબલ પોપટસિંહની રાજેન્દ્રસિંહ સાથેની વાતચીતમાં તે એવું કહેતો માલૂમ પડે છે કે, તમને કોઇ હાથ નહી લગાડે, તે તાકાત બહારની વાત છે. તમે આઘાપાછા થઇ જજો. બીજીબાજુ, મુખ્ય સૂત્રધાર આરોપી રાજેન્દ્રસિંહને આજે મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે દસ હજારના શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટે નિયમિત પોલીસમથકમાં હાજરી સહિતની આકરી શરતો સાથે તેને જામીન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મલ્ટિપ્લેક્સને ભડકે બાળવાના પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રસિંહ વાઘેલાના ભગાડી મૂકવામાં સક્રિય ભૂમિકા ભજવનાર અને બે દિવસ પહેલાં સસ્પેન્ડ કરાયેલા સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ત્રણ કર્મચારીઓ જોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને લાલસિંહ મસાણી વિરૂધ્ધ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ત્યારે આજે સાણંદ પોલીસના કોન્સ્ટેબલ પોપટસિંહ વાઘેલા હવે આ ષડયંત્રમાં ઝડપાયો છે. પોલીસે તેની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા રાજેન્દ્રસિંહનો ફોન ટેપ કરતાં તેની વાતચીતમાં સાણંદના કોન્સ્ટેબલ પોપટસિંહની મદદગારીનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોપટસિંહે આરોપી રાજેન્દ્રસિંહને પોલીસની તમામ માહિતી અગાઉથી પૂરી પાડી દીધી હોવાની ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી.