રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ત્રણ સોસાયટીઓની બહાર પાર્ક કરેલ ૧૪ બાઇક અને બે કારને સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા સળગાવી દેવાના પ્રકરણમાં સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં જ સીસીટીવી ફુટેજના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢી છ લુખ્ખા આરોપીઓને ધરદબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી વાહનો સળગાવવાની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવી ખૂટતી કડીઓ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર હરિપાપડીના હત્યારા જબરદાન ગઢવીનો પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગણેશનગર, શિવધાન અને તિરૂપતિ મેઇન રોડ પરની સોસાયટી મળી કુલ ત્રણ સોસાયટીઓની બહાર પાર્ક કરેલ ૧૪ બાઇક અને બે કારને બે દિવસ પહેલાં રાત્રિના સમયે સ્થાનિક લુખ્ખા તત્વોએ જવલનશીલ પદાર્થ છાંટી આ તમામ વાહનોને આંગ ચાંપી દીધી હતી. આરોપીઓએ એવી રીતે વાહનોને આગ ચાંપી હતી કે, તમામ વાહનો આગમાં ભસ્મીભૂત અને બળીને જાણે રાખ થઇ ગયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે હાહાકાર મચી ગયો હતો. દરમ્યાન સ્થાનિક રહીશોના ઉગ્ર આક્રોશ બાદ સ્થાનિક પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે એક ડઝન જેટલા આરોપીની અટક કરી તેમની આકરી પૂછપરછ કરતાં સીસીટીવી ફુટેજમાં દેખાતો એક શખ્સ સૂરજ ગઢવી હોવાનું ઓળખાઇ ગયું હતું. બીજીબાજુ, પોલીસને એવી જાણકારી પણ મળી હતી કે, કોઠારિયા રોડ પર લુખ્ખા તત્વોએ રાત્રે એક રિક્ષાચાલકને ઘેરીને ધમકાવ્યો હતો, તેથી પોલીસે તે સ્થળના સીસીટીવી ફુટેજ પણ ચેક કરતાં લુખ્ખા તત્વોની ઓળખ થઇ ગઇ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ છ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, શહેરના સહકારનગરમાં એકત્ર થયેલી લુખ્ખા ટોળકીના સૂત્રધારને સાગરિતની જ છરી અડી જતાં એકબીજાને બતાવી દેવા ૯ જેટલા ટપોરીઓએ શનિવારે મધરાતે રાજકોટના આજીડેમ પોલીસમથક વિસ્તારની ત્રણ સોસાયટીઓમાં બહાર પાર્ક કરેલા કુલ ૧૬ વાહનો સળગાવી દીધા હતા. પોલીસે આ પ્રકરણમાં બાકીના આરોપીઓને પકડવાની દિશામાં તપાસ જારી રાખી છે. ટુંકમાં વધુ સફળતા મળી શકે છે.