દેશના કોઇપણ ભાગમાં વકીલાતની પ્રેકટીસ કરવા માટે ફરજિયાત પાસ કરવાની થતી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ઓલ ઇન્ડિયા લેવલની નવેમ્બર માસમાં લેવાયેલી એક્ઝામનું પરિણામ વિલંબિત થતાં વકીલ ઉમેદવારોમાં સહેજ નારાજગીની લાગણી ફેલાઇ છે, બીજીબાજુ, બીસીઆઇની આ એક્ઝામમાં તર્કસંગત પ્રશ્નો નહી પૂછાતા હોવાથી અને ઘણીવાર અભ્યાસ બહારનું પૂછાવાના કારણે વકીલોના પરિણામ પર તેની સીધી અસર થતી હોવાથી ગુજરાતના વકીલ ઉમેદવારોના હિતમાં તેઓને બીસીઆઇની આ ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામમાં દસ માર્કસનું ગ્રેસીંગ આપવા ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા સમક્ષ માંગણી કરી છે. ગુજરાત વકીલોની લાગણીને ધ્યાનમાં લઇ અનિલ કેલ્લાએ આ સમગ્ર મુદ્દે એક પત્ર પણ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સત્તાવાળાઓને પાઠવ્યો છે. દેશના કોઇપણ ભાગમાં જો કોઇ વકીલને વકીલાત તરીકેની પ્રેકટીસ કરવી હોય તો બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નવા રૂલ્સ મુજબ, ૨૦૧૦થી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવાઇ હતી. ૧૦૦ માર્કસની આ પરીક્ષામાં ૪૦ માર્કસ લાવવા ફરજિયાત હોય છે અને વર્ષમાં બે વાર આ પરીક્ષા લેવાતી હોય છે. જો કે, વકીલો તરફથી વારંવાર મળતી રજૂઆત અને તેઓની લાગણી અંગે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, વકીલ ઉમેદવારો જેઓ વકીલાતના વ્યવસાયમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, તેઓ માટે આ પરીક્ષા બહુ મહ્ત્વની છે પરંતુ હજુ કેટલીક વિસંગતતાઓ પરીક્ષાના સમગ્ર ફોર્મેટમાં છે. કારણ કે, એક તો, ઓલ ઇન્ડિયા લેવલની આટલી મહત્વની પરીક્ષાનું કોઇપણ પ્રકારનું મટીરીયલ્સ કે પુસ્તકો વકીલોને આપવામાં આવતા નથી, તેની સામે તેઓની પાસેથી રૂ.૩૫૬૦ જેટલી માતબર પ રીક્ષા ફી વસૂલ કરાય છે. બીજું કે, આ એક્ઝામમાં ઘણીવાર જે પ્રશ્નો પૂછાય છે, તે અતાર્કિક અને અભ્યાસ બહારના હોય છે. કયારેક તો વળી, વિદેશના ચુકાદાઓ અને હકીકતોને લગતી વાત પૂછવામાં આવતી હોય છે, જેના લીધે વકીલ ઉમેદવારો પરીક્ષામાં તૈયારી કરી હોવાછતાં ચૂક કરી જાય છે. ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામ અમલી બની ત્યારે શરૂઆતના વર્ષોમાં તો પરિણામ ઘણું નીચુ રહેતું હતુ, જે ધીરે ધીરે ક્રમશઃ ઉંચુ આવતું જાય છે પરંતુ હજુ ત્રીસેક ટકા વકીલો આ પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ રહી જાય છે. જેથી તેઓની વકીલાતની ખેવના અધૂરી રહે છે. આ સંજોગોમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામમાં વકીલ ઉમેદવારોને ગ્રેસીંગના વધારાના દસ માર્ક્સ આપી તેઓને પાસ કરવાની એક નવતર પહેલ કરવી જોઇએ કે જેથી વકીલ ઉમેદવારોને પ્રોત્સાહન મળે. આ માટે મેં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને એક પત્ર પાઠવી ગુજરાતના વકીલ ઉમેદવારોની હિતમાં યોગ્ય માંગણી કરી છે.