અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પદ્માવત ફિલ્મને લઇ રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા ચાલી રહેલા આંદોલન અને વિરોધને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ખાનગી વાહનો, બાઇકો અને એસટી નિગમની બસોની આગચંપી અને તોડફોડ સહિતની નુકસાનીના કિસ્સાઓમાં તમામ વીમાકંપનીઓ દ્વારા એક અઠવાડિયામાં નુકસાનીની પૂરેપૂરી રકમ(વીમાનો કલેઇમ) ચૂકવી અપાય તેવી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ઉગ્ર માંગણી કરી છે. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે પદ્માવત ફિલ્મને લઇ રાજયમાં સર્જાયેલી પરિસ્થિતિ અને નિર્દોષ નાગરિકોના વાહનો અને માલ-મિલકતને થયેલા નુકસાનની સ્થિતિમાં રાજય સરકારને દરમ્યાનગીરી કરવા પણ અનુરોધ કર્યો છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, રાજય સરકાર, રાજયના ગૃહપ્રધાન અને ગૃહવિભાગના અધિકારીઓએ રાજયમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા અને હિંસક બનાવોમાં જાનમાલની નુકસાનીની જવાબદારી સ્વીકારવી જોઇએ. જો પોલીસે અનિચ્છનીય બનાવો કે, હિંસા-તોડફોડના કિસ્સામાં સાપરાધ મનુષ્યવધની આઇપીસીની કલમ-૩૦૮ લાગુ કરવાની પોલીસ તંત્ર તરફથી સ્પષ્ટ તાકીદ કરાઇ હોવાછતાં આ પ્રકારે આગચંપી અને તોડફોડના બનાવો બન્યા તે નિંદનીય અને શરમજનક છે. વાસ્તવમાં જે સ્થાનો પર તોફાનો થયા ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત જ ન હતો. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે એક મહત્વના મુદ્દા પર ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, સેંકડો લોકોના તોફાની ટોળા સામે મુઠ્ઠીભર ૧૦-૧૨ પોલીસ જવાનોને લાઠીચાર્જ કરવા માટે મામલતદાર અને ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લેવી પડે છે. જો કડક હાથે તોફાનો ડામવા પગલા ભરે તો, પોલીસ દમનના આક્ષેપો થાય છે અને તેમને પોલીસ નોકરીમાંથી સસ્પેન્ડ કરાય છે ત્યારે પોલીસને નોકરીમાં સુરક્ષિતતા આપવી પણ એટલી જ જરૂરી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પોલીસ જવાનોને માર્ગદર્શન આપવા જેસીપી, ડીસીપી અને એસીપીને સ્થળ પર જ હાજર રાખવા જોઇએ.