ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન દ્વારા આગામી તા.૨૭ અને ૨૮મી જાન્યુઆરી દરમ્યાન એસજી હાઇવે પર અડાલજ પોલીસ સ્ટેશનની બાજુમાં, શ્રી રામચંદ્ર મીશન આશ્રમ ખાતે હાર્ટફુલનેશન ઇન્સ્ટીટયુટ ખાતે નેચરોપથી અને યોગ અંગે બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના ૧૨થી વધુ રાજયોમાંથી ૭૦૦થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ રાષ્ટ્રીય સંમેલનનો ઉદ્દેશ ગુજરાત સહિત દેશભરમાં જન-જન સુધી નેચરોપથી(પ્રાકૃતિક ચિકિત્સા) અને યોગની મહત્તા સમજાવી તેની ઉપયોગિતા સમજાવવાનો અને પહોંચાડવાનો છે એમ અત્રે ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ મુકેશભાઇ શાહ અને કાર્યાધ્યક્ષ જીતુભાઇ પંચાલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેચરોપથી અને યોગ અંગેના આ રાષ્ટ્રીય સંમેલનમાં સૌપ્રથમવાર મેડિકલ ડોકટર્સ અને નેચરોપેથ એક જ મંચ પર ડાયાબિટીસ, બ્લડપ્રેશર, મહિલાઓના મેનોપોઝ અંગેના પરિસંવાદમાં ભાગ લઇ પોતપોતાના વિચારો અને સારવાર પધ્ધતિ વિશે વાર્તાલાપ રજૂ કરશે. આ સંમેલનમાં ભારત સરકારના આયુષ્ય મંત્રાલયના ડો.ઇશ્વર આચાર્ય, રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મહેસૂલમંત્રી કૌશિકભાઇ પટેલ, લકુલીશ યોગ યુનિવર્સિટીના ડો.દિનેશભાઇ અમીન, આરએસએસના પૂર્વ સરસંઘચાલક ડો.અમૃત કડીવાલા અને બારડોલીના સાંસદ પ્રભુભાઇ વસાવા સહિતના મહાનુભાવો હાજર રહેશે. નેચરોપથી(પ્રાકૃતિક ચિકિત્સા) એટલે યોગ્ય આહાર, હાઇડ્રોથેરાપી, મડથેરાપી, માલિશ, એનીમા, એકયુપ્રેશર, હળવી કસરત, આસન, પ્રાણાયામ વગેરે દ્વારા જીવન જીવવાની કળા. પ્રાકૃતિક ચિકિત્સા અને યોગ એ ભારત સહિત વિશ્વભરમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. આજીવન સ્વસ્થ રહેવા અને કોઇપણ કારણથી અસ્વસ્થ બનેલા શરીરને પાછુ સ્વસ્થ કરવા આના જેવી નિર્દોષ(કોઇપણ આડઅસર વિનાની) સરળ, સચોટ, ઝડપી અને સસ્તી બીજી કોઇ ઉપચાર પધ્ધતિ નથી. ભારતીય સંસ્કૃતિ અને અર્થકારણને અનુરૂપ આ પધ્ધતિ સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા સક્ષમ છે અને તેથી આ રાષ્ટ્રીય સંમેલન સમગ્ર સમાજ માટે બહુ ઉપયોગી અને લાભકારક બની રહે તેવી શકયતા છે. આ પ્રસંગે ઓર્ગેનાઇઝેશનના જનરલ સેક્રેટરી હસમુખ શાહ અને કો-ઓર્ડિનેટર સુરેશભાઇ શાહ હાજર રહ્યા હતા.
પાછલી પોસ્ટ