કાબુલ હોટલ હુમલામાં મોતનો આંકડો વધીને ૧૮ ઉપર પહોંચી ગયો છે જ્યારે આ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા પણ છ દર્શાવવામાં આવી છે. છ તાલિબાની ત્રાસવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો હતો. માર્યા ગયેલા ૧૮ લોકોમાં ૧૪ વિદેશી લોકો હોવાનું જાણવા મળ્યું છે. જે ૧૪ વિદેશી લોકો માર્યા ગયા છે તેમાં યુક્રેનના છ નાગરિકોનો સમાવેશ થાય છે. યુક્રેન સરકારે આને લઇને નારાજગી પણ વ્યક્ત કરી છે. જે ૧૫૦ લોકોને બચાવી લેવાયા છે તેમાં ૪૧ વિદેશી છે. અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલમાં મુંબઈમાં ૨૬-૧૧ જેવો જ હુમલો ગઇકાલે કરવામાં આવ્યા બાદ આ મામલામાં હજુ તપાસ ચાલી રહી છે.
આ હુમલામાં મોટી સંખ્યામાં વિદેશી લોકોના મોત થતાં જુદા જુદા દેશોમાં હુમલાની વ્યાપક ટીકા થઇ રહી છે. પાટનગર કાબૂલના ઇન્ટરકોન્ટીનેન્ટલ હોટલમાં ઘુસી ગયેલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. છ ત્રાસવાદીઓને ઠાર કરાયા છે. આશરે ૧૨ કલાક સુધી ચાલેલા આ ઓપરેશન બાદ ૧૨૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ૪૦ વિદેશી નાગરિકો પણ બચાવી લેવામાં આવેલા લોકોમાં સામેલ હતા. કાબૂલમાં સાત વર્ષ બાદ કોઇ ઓપરેશન આટલા લાંબા સમય સુધી ચાલ્યું હતું. શનિવારે મોડી રાત્રે ત્રાસવાદીઓ હોટલમાં ઘુસી ગયા હતા અને સ્ટાફ અને મહેમાનો ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ૨૬-૧૧ વેળા જે રીતે ભારતની તાજ હોટલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેવી જ રીતે આ હુમલો કરાયો હતો. હુમલામાં બચવા માટે લોકોએ હોટલની છત પરથી ભાગવાના પ્રયાસો કર્યા હતા. હોટલમાં ફસાયેલા સગાસંબંધીઓએ કહ્યું હતું કે, ત્રાસવાદીઓએ હોટલના પ્રવેશ ગેટ ઉપર જ ગાર્ડને ઠાર મારી દીધા હતા. આ લોકો રસોડા મારફતે હોટલમાં ઘુસી ગયા હતા. હોટલને આગ પણ ચાપી દીધી હતી. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઇને હોટલની વિજળી કાપી નાંખી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ